ધોરાજીમાં કૌટુંબિક દાદા, ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ મહિલા

  • September 20, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજીમાં ભૂખી ચોકડી પાસે આંબેડકરનગરમાં રહેતી મીતલબેન મહેન્દ્રભાઈ વિંઝુડા ઉ.વ.૩૪ નામની મહિલા કોરોના સમયે પોતાની તથા માતાની સારવાર માટે કૌટુંબીક દાદા જીવણ વાલાભાઈ સોંદરવા પાસેથી એક લાખ રૂપિયા ૩૦ ટકા વ્યાજે લીધા બાદ વ્યાજ, મુદ્દલ ચુકવવામાં ચાર મહિલા સહિત અન્ય સાત વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ લાખો રૂપિયા ચુકવવા છતાં વ્યાજખોરો દ્રારા ચેક, લખાણ પરત નહીં આપી વધુ ઉઘરાણી કરી ધાકધમકી આપતા હોવાના આરોપસર ચાર મહિલા સહિત આઠ સામે વ્યાજખોરીની ફરિયાદ ધોરાજી પોલીસ મથકે નોંધાવી છે.
ફરિયાદની વિગતો મુજબ ફરિયાદી મહિલાનો પતિ મહેન્દ્ર સેન્ટ્રીંગ કામ કરે છે. કોરોના સમયે બીમારી અને મજુરી કામ પણ બધં થતાં ઘર ચલાવવા કૌટુંબીક દાદા જીવણભાઈ પાસેથી ૩૦ ટકા લેખે વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા. દાદાએ ચેક અને લખાણ કરાવ્યું હતું. કટકે કટકે છથી સાત લાખ રૂપિયા ચુકવ્યા હતા. લખાણ, ચેક પરત માગતા હજી બીજા ૮ લાખ દેવા પડશે તેમ કહેતા જીવણભાઈના મિત્ર કૌશલ મુળજી માકડીયા ફરિયાદી મીતલબેનના ઘરે આવ્યા હતા અને ૮ લાખ રોકડા આપ્યા હતા. જેના સીસીટીવી છે. આમ છતાં જીવણભાઈએ કોરા ચેકમાં સાત લાખની રકમ ભરીને ચેક રીટર્ન કરાવી કોર્ટ કેસ કર્યેા.
અન્ય વ્યાજખોરોમાં રાજુ રમણીકભાઈ રાઠોડ પાસેથી ૩૦ ટકા લેખે બે લાખ લીધા ૧૨ માસ સુધીમાં ત્રણ લાખ ચુકવ્યા છતાં રાજુએ ચેકમાં બાર લાખની એમાઉન્ટ ભરી ચેક રીટર્ન કેસ કર્યેા છે. રાજુ મોબાઈલમાં વોટસએપ મારફતે ચેટ કરી ૩૦ ટકા વ્યાજ સાથે રકમ ઉઘરાણી કરે છે.
દોઢ વર્ષ પહેલા પ્રભા બાબુભાઈ સુણા (રહે. જામકંડોરણા) પાસેથી ૧૦ ટકા લેખે ચાર લાખ લીધા હતા તેને પાંચ કોરા ચેક લઈ લીધા હતા. પ્રભાબેનને કટકે કટકે રકમ ચુકવી દીધી છતાં ચેક રીટર્ન કરાવી કેસ કર્યેા હતો. એ પહેલા ત્રણ વર્ષ પહેલા પાડોશી ગીતા ગૌતમભાઈ ચૌધરી પાસેથી એક લાખ ૧૦ ટકાએ લીધા હતા તેને પણ પાંચ ચેક લખાવ્યા હતા. એક લાખના સાત લાખ ચુકવ્યા છતાં તેના કૌટુંબીક ભાઈ જયેશ ચૌધરી મારફતે વધુ નાણા માગી ધમકી આપે છે. સાથે કામ કરવાનું કહી ધમકાવે છે.
એકબીજાને રકમ ચુકવવા નાણાની જરૂરીયાત હોવાથી પ્રભાબેનના પરિચીત જામકંડોરણાના પીપળીયા ગામના જયરાજભાઈ જાડેજા પાસેથી ૯૯૦૦૦, ગીતાબેન ચૌધરીના જાણીતા સુરેશ ઉકા મકવાણા પાસેથી ૧૦ ટકાએ એક લાખ, લમીબેન સુરેશ ભાસ્કર પાસેથી ૨ લાખ, ૩૦ ટકાએ વ્યાજે લીધા હતા. બદલામાં ચેક આપ્યા હતા. વ્યાજ તથા મુદલની રકમ ચુકવવા એક પછી એક વ્યાજખોરો પાસેથી નાણા લીધા, નાણાથી વધુ ચુકવ્યા છતાં આરોપીઓએ લખાણ ચેક પરત નહીં કરી ચેક રીટર્ન કરાવી કોર્ટ કેસ કર્યા હોવાના આરોપ ફરિયાદમાં મુકાયા છે.
મહિલાએ કૌટુંબીક દાદા જીવણ વ્યાજખોરી આરોપમાં અન્યો રાજુ રાઠોડ, ત્રણ મહિલા, પ્રભા સુણા, ગીતા ચૌધરી, લમી ભાસ્કર, જયરાજ જાડેજા, સુરેશ મકવાણા તથા ગીતા ચૌધરી વતી ઉઘરાણી કરી સ્વાતી અંકિત રાઠોડે માર માર્યાના આરોપસર નોંધાવેલી ફરિયાદમાં પોલીસે ગુનો નોંધી ફરિયાદના આરોપ મુજબ સત્ય શું છે તે ચકાસવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application