તીર્થ ધામ ધેલા સોમનાથમાં આજે સોમવતી અમાસે આટલા લાખથી પણ વધુ ભક્તોએ કર્યા દર્શન

  • September 02, 2024 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સોમપીપળિયા ગામમાં ઘેલા સોમનાથ મંદિરે આજ સોમવતી અમાસે ત્રણ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. ઘેલા સોમનાથ મહાદેવના જળાભિષેક - દુગ્ધાભિષેક માટે અનેક ભક્તો ઉમટી પડ્યા હતા. ઘેલા સોમનાથ મંદિરમાં દરરોજ શ્રાવણ માસ દરમિયાન નિતનવા શણગારો કરવામાં આવ્યા હતા.


લાખો લોકોનો માનવ મહેરામણ ઉમટયો

શ્રાવણ માસમાં આ યાત્રાધામમાં ભારતભરમાંથી લાખો લોકોનો માનવ મહેરામણ ઉમટયો હતો. આ તીર્થસ્થાન અનેક શ્રધ્ધાળુઓનું આસ્થાસ્થાન છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો જેવા કે લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકમેળા અહીં યોજાયા હતા. જેનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. 100 જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્તનાં લીધે શાંતિપૂર્ણ રીતે ભીડ વ્યવસ્થાપન (ક્રાઉડ મેનેજમેન્ટ) થયુ હતું. 150 જેટલા ખાણીપીણીના અને રમકડાના સ્ટોલથી નાના મોટા વેપારીઓને રોજગારી મળી હતી.


ઘેલા સોમનાથ મંદિરનું સંચાલન રાજકોટ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ હસ્તક છે. આ સમિતિ દ્વારા  આ તીર્થસ્થળનો સગવડભર્યો સુંદર વિકાસ થઇ રહયો છે. અહીં સત્સંગ હોલ, આકર્ષક બગીચાઓ, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેવાની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બંને સમય ભોજન પ્રસાદી પણ વિનામૂલ્યે અપાય છે. ટ્રસ્ટની પોતાની જ ગૌશાળા પણ છે. જેમાં ૧૫૦ જેટલી નાની મોટી ગાયોનો નિભાવ થાય છે. આ ઉપરાંત, રૂ. દસ કરોડથી પણ વધુ રકમના શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામો, શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનું લોંન્ચીંગ તથા ઘેલા સોમનાથ મંદિર નજીકમાં એમ્યુઝમેન્ટ પાર્કના લોકાર્પણ થયા છે. જેનાથી યાત્રિકોને વધુ સગવડો મળી રહી છે જેનાથી પ્રવાસનને વેગ સાંપડયો છે.


શ્રાવણ માસના પ્રારંભે જ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે ઘેલા સોમનાથ- રાજકોટ વાયા જસદણ રૂટની બસ તથા રૂ. ૧૮૬ લાખના ખર્ચે નવીનીકરણ થયેલા શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું લોકાર્પણ તાજેતરમાં થયું હતું. મંદિરના સામે મીનળ દેવીના મંદિરમાં પણ વિકાસ કામો થકી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અહી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.


આ મંદિરના ટ્રસ્ટના ચેરમેન કલેકટર પ્રભવ જોષી, વાઇસ ચેરમેન અને નાયબ કલેકટર ગ્રીષ્મા રાઠવા, સભ્ય સચિવ જસદણ મામલતદાર એમ.ડી.દવે, વહિવટદાર નાયબ મામલતદાર હિરેન મકાની છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application