જૂનાગઢની ગુજરી બજાર બની ગંદકી બજાર

  • September 24, 2024 09:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે.શહેરીજનોને ગંદકી ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. હેપ્પી સ્ટ્રીટ અન્વયે સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો અને નાટક યોજી લોકોને સફાઈ બાબતે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.પરંતુ હજારો લોકો ખરીદી કરવા આવે છે.તેવી ગુજરી બજારમાં જ ગંદકીના ગંજ યથાવત જોવા મળી રહ્યા છે  હજારો લોકો ખરીદી કરવા આવે છે તે રવિવારી બજારમાં સફાઈના અભાવે ઉકરડા વચ્ચે લોકોએ ખરીદી કરવી પડી હતી.જેથી તંત્રના કહેવાતા સ્વચ્છતા અભિયાન અને હેપી સ્ટ્રીટમા સફાઈ અભિયાન જાગૃતિના નામે તાયફાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સરકારની સૂચના અનુસાર જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દરરોજ સફાઈ અભિયાન કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા તો સફાઈ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ રાખવામાં આવ્યા છે. પરંતુ ખરીદીનું હબ ગણાતા મુખ્ય વિસ્તારમાં જ સફાઈની દરકાર લેવામાં આવતી નથી ગંદકી અને ઉકરડા વચ્ચે લોકો ખરીદી કરી રહ્યા હતા.જેથી સફાઈ અભિયાનની ગુલબાંગો પોકળ જોવા મળી રહી છે અઠવાડિયામાં માત્ર એક દિવસ .દર રવિવારે યોજાતી ગુજરી બજાર(રવિવારી બજારમાં) 200 થી વધારે ધંધાર્થીઓ રોજગાર માટે તો હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચે છે.પરંતુ સફાઈના અભાવે ગંદકી વચ્ચે જ પાથરણા અને ખાટલા રાખી બેસે છે.તો બીજી તરફ ઉકરડા વચ્ચે જ લોકો ખરીદી કરવા મજબૂર બન્યા છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવામાં અનેક  કાર્યક્રમ કરી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.ટેન્ટ મારી સ્ટેજ પરથી સ્વચ્છતા જાળવવા સૂચનો આપવામાં આવે છે. એક તરફ રવિવારે ઝાંઝરડા ચોકડી પર યોજાયેલા હેપી સ્ટ્રીટ કાર્યક્રમમાં મહાનગરપાલિકા પણ સહભાગી થઈ હતી. સ્વચ્છતા જાગૃતિ આવે તે માટે બેનરો, નાટકો પ્રદર્શિત કરાયા હતા.પરંતુ તેની બીજી દિશાએ હેરિટેજ ઇમારત બહાઉદીન કોલેજ પાસે જ થતી મુખ્ય ખરીદી બજારમાં ગંદકીના ગંજ યથાવત હોવાથી કહેવાતા સ્વચ્છતા અભિયાનના દાવા અંગે લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. રવિવારી બજારમાં ઝુપડપટ્ટીથી લઈ બંગલામાં રહેતા લોકો ખરીદી કરવા આવે છે.છતાં પણ આ બજારને હેપી સ્ટ્રીટ કરવા તંત્ર તસ્દી લેતું નથી.ખરીદી કરવા આવતા લોકોના કહેવા મુજબ માત્ર રવિવારે જ ગુજરી બજાર ભરાય છે.બાકીના છ દિવસ તો આ જગ્યા ખાલી જ રહે છે. તો પણ તંત્ર દ્વારા સફાઈ કરવામાં દરકાર લેવાતી નથી.જેથી હજારો લોકોએ ગંદકી અને કચરાના ઢગલા વચ્ચે ઊભા રહી ખરીદી કરે છે.તો બીજી તરફ ખાણીપીણીના ધંધાર્થીઓ પણ કચરાના ઢગલા પાસે જ ટેબલ પાથરીને બેઠેલા જોવા મળે છે જેથી લોકોના આરોગ્ય મને જોખમ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. રવિવારી બજારમાં ખાટલા નાખી બેસતા ધંધાર્થીઓના જણાવ્યા મુજબ સ્વચ્છતા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે.પરંતુ તંત્ર રજૂઆતને ગાંઠતું જ નથી. ગુજરી બજારને પણ સ્વચ્છ બજાર કરી લોકોને હેપ્પી મૂડમાં લાવવા મહાનગરપાલિકા રસ દાખવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.
મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા માટે બ્રાન્ડ એમ્બેસેડરોની પણ નિયુક્તિ કરવામાં આવી છે પરંતુ આ એમ્બેસેડરો સ્વચ્છતા અભિયાનના દિવસોમાં જ નજરે ચડે છે. મજાગૃત નાગરિકના નાતે તેઓ દ્વારા સ્વચ્છતા માટે આગેવાની લેવી જોઈએ પરંતુ માત્ર ને માત્ર ગણ્યા ગાંઠયા કાર્યક્રમમાં જ જોવા મળતા સફાઈ એમ્બેસેડરોને મુખ્ય બજારમાં રહેલી ગંદકી નજરે ચડતી નથી.ખરેખર તો સફાઈ જાગૃતિ માટે તંત્રને ઢંઢોળવા જોઈએ તેના બદલે માત્ર ને માત્ર સરકારી કાર્યક્રમ પૂરતા જ સીમિત રહેતા મહાનુભવોની નિયુક્તિ સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application