ખંભાળિયામાં રંગ મહોલ સ્કૂલની બાજુમાં ગુગળી ચોક વિસ્તારમાં રહેતા કરણભાઈ નીતિનભાઈ ગુસાણી નામના ૩૫ વર્ષના સોની યુવાનના પિતાએ થોડો સમય પૂર્વે એક શખ્સ પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા. જેથી આ રકમને ઉઘરાણી કરવા માટે અહીંના વોંકળા શેરી વિસ્તારમાં રહેતા મોયુદિન ઉર્ફે મોનુ જાવેદ દરવેશ, કે.જી.એન. સોસાયટીમાં રહેતા નવાજ યાકુબ શેતા અને અજમેર પીરની ટેકરી પાછળ રહેતા જોહિલ ફિરોજ દરવેશ (ઉ.વ. ૧૯) નામના શખ્સોએ પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું.
ઉપરોક્ત ત્રણ પૈકી એક શખ્સએ ફરિયાદી કરણભાઈના પિતાને પૈસા આપ્યા હોય, જે રકમની ઉઘરાણી કરવા માટે આ ત્રણેય શખ્સોએ ગુનાહિત કાવતરું રચીને ફરિયાદી કરણભાઈને તેમના મોટા બાપુનો અકસ્માત થયો હોવાની ખોટી બાબત જણાવી ગત શુક્રવાર તારીખ ૫ ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે તેમને જાણ કર્યા બાદ રસ્તામાં રોકી અને ઈક્કો મોટરકારમાં તેમનું અપહરણ કરીને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા.
જ્યાં આરોપીઓએ તેમને બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી કરણભાઈનો રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન તેમજ એટીએમની લૂંટ ચલાવી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે સોની કરણભાઈ નીતિનભાઈ ગુસાણીની ફરિયાદ પરથી તમામ ત્રણેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જોહિલ ફિરોઝ દરવેશની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા હાથ ધરવામાં આવી છે.