જામનગર: નવી મોખાણાની સીમમાં દીપડાને પકડવા ખુલ્લા મારણ સાથે ત્રીજું પાંજરૂં મૂકાયું
અલગ-અલગ દીશા અને સીમમાં પાંજરા મૂકી દીપડાને પકડી પાડવાના પ્રયાસ
૨૦ થી વધુ દીવસથી દીપડાના આંટાફેરા: એક વખત તો પાંજરા સુધી આવી નાસી ગયો તો
જામનગર તાલુકાના નવી મોખાણ ગામની સીમમાં દીપડાને પકડવા વનવિભાગ દ્વારા ખુલ્લા મારણ સાથે ત્રીજું પાંજરૂં મૂકવામાં આવ્યું છે. અલગ-અલગ દીશા અને સીમમાં પાંજરા મૂકી દીપડાને પકડી પાડવા માટે પ્રયાસો વધુ વેગવાન બનાવાયા છે. નવી મોખાણા તથા આજુબાજુના સીમ વિસ્તારમાં ૨૦ થી વધુ દીવસથી દીપડો આંટાફેરા કરી રહ્યો છે. એક વખત તો પાંજરા સુધી આવી દીપડો નાસી ગયો હતો. દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયની લાગણી યથાવત રહી છે.
જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં દીપડાએ પડાવ નાખ્યો હોય તેમ ૨૦ થી વધુ દીવસથી આંટાફેરા કરી રહ્યો છે. આ દરમ્યાન દીપડાએ કૂતરાનું મારણ પણ કર્યું હતું. રણજીતસાગર ડેમની આસપાસના વિસ્તારોમાં દીપડાની આંટાફેરાની ફરિયાદો વચ્ચે દીપડાને પકડી પાડવા માટે વનવિભાગે નવી મોખાણા ગામની સીમમાં જયાં મારણ કર્યું છે તે સ્થળે પુન: પાંજરૂં મૂકી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ સીમ વિસ્તારમાં વનવિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા માટે બીજું પાંજરૂં મૂકવામાં આવ્યું હતું. બંને પાંજરામાં ટ્રેપ કેમેરા પણ ફીટ કરાયા છે. પરંતુ દીપડો બેમાંથી એકપણ પાંજરા સુધી ન આવતા કેમેરામાં દીપડાની કોઇ હીલચાલ કેદ થઇ ન હતી તો કોઇ ફુટમાર્ક પણ મળ્યા ન હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, વનવિભાગ દ્વારા નવી મોખાણા અને આજુબાજુના વિસ્તારમાં પડાવ નાંખનાર દીપડાને પકડી પાડવા નવી મોખાણાની સીમમાં ટ્રેપ કેમેરા સાથે ત્રીજું પાંજરૂં મૂકવામાં આવ્યું છે. અગાઉ મૂકવામાં આવેલા બે પાંજરામાં અંદર સેપરેટ મારણ રાખવામાં આવ્યું હતું. આથી પાંજરા સુધી આવેલા દીપડાને પકડી પાડવા ત્રીજું પાંજરૂં ખુલ્લા મારણ સાથે મૂકવામાં આવ્યું છે. જેથી મારણ પર પગ મૂકતાની સાથે દીપડો પાંજરામાં કેદ થઇ શકે. આમ વનવિભાગે અલગ-અલગ દીશા અને સીમમાં ત્રણ પાંજરા મૂકી દીપડાને પકડી પાડવાની કવાયત વધુ તેજ કરી છે.