ધ્રોલ: જાલીયા માનસરમાં યુવતિનો જન્મદિન મૃત્યુ દિવસ સાબિત થયો
ઉંડ નદીમાં પગ લપસતાં ડૂબી જવાથી યુવતિનું મૃત્યુ થતા ઘેરો શોક
ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં જન્મદિવસના દિવસે જ ૧૯ વર્ષીય યુવતીનું નદીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. સમગ્ર ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
જાલિયા માનસર ગામે રહેતી ઇશીતાબેન વસંતભાઈ સોલંકી (ઉ.વ.૧૯)નો તા.૧૦ મે ૨૦૨૬ના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે ઇશીતાબેન ગામ પાસે આવેલી ઉંડ નદી કાંઠે સ્થિત સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
દર્શન કર્યા બાદ તેઓ નદી કાંઠે હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા. દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસી જતાં તેઓ નદીના ઊંડા પાણીમાં પડી ગયા હતા અને ડૂબી ગયા હતા. આસપાસના લોકોએ તેમને બહાર કાઢી તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
દરમ્યાનમાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે આકાશભાઇ સોલંકીએ જાણ કરી હતી જેના આધારે ધ્રોલ પોલીસની ટુકડી દ્વારા વિગતો મેળવીને તપાસની કાર્યવાહી આગળ ધપાવી હતી.