↵જામનગર : અંબર ચોકડી પાસે એસટીના ડ્રાઇવર પર છરી વડે હુમલો
લાલબંગલા સર્કલે પુત્ર સાથે થયેલી સામાન્ય બોલાચાલી કારણભુત : ત્રણ શખ્સ સામે ફરીયાદ
જામનગરના અંબર ચોકડી પાસે એસટીના કર્મચારીને રોકીને છરી વડે હુમલો કરી ઇજા પહોચાડયાની દિગ્જામ સર્કલ નજીક રહેતા ત્રણ શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. ૧૪ એપ્રીલના દિવસે લાલબંગલા સર્કલ પાસે ઇજાગ્રસ્તના પુત્ર અને આરોપીને સામાન્ય બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
જામનગરના વસઇ ગામ ધણશેરી ચોકમાં રહેતા એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હસમુખ નાગજીભાઇ ચૌહાણ (ઉ.વ.૫૦) નામના આધેડ દ્વારા સીટી-બી ડીવીઝનમાં જામનગરના વુલનમીલ પાસે રહેતા મીત સુનિલ સાગઠીયા, પ્રિન્સ દિલીપ વરણ તથા અતુલ નામના ત્રણ શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદીના દિકરા સાથે ૧૪ એપ્રીલના દિવસે આરોપી મીત અને પ્રિન્સએ લાલબંગલા સર્કલે સામાન્ય બોલાચાલી થઇ હતી અને સમાધાન થઇ ગયુ હતું દરમ્યાન આ બાબતનો ખાર રાખી ગઇકાલે હસમુખભાઇ મોટરસાયકલ લઇને અંબર ચોકડીથી આગળ જઇ રહયા હતા ત્યારે આરોપીએ તમે હર્ષના પિતા તેમ કહીને ત્રણેય શખ્સોએ જેમતેમ બોલી છરી વડે હુમલો કર્યો હતો.
જેમાં ફરીયાદીને પગ, કોણી અને કમરથી નીચેના ભાગે તેમજ ખભાના ભાગે ઇજા પહોચાડીને ભાગી ગયા હતા, ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ફરીયાદના આધારે આરોપીઓને અટક કરવા સીટી-બી પોલીસે તપાસ લંબાવી છે.