દ્વારકા: નાગેશ્ર્વર જયોતિર્લિંગ ટ્રસ્ટીઓના વિવાદ વચ્ચે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ સંદર્ભે પોલીસ તપાસ
કલેકટર દ્વારા પત્ર લખવામાં આવ્યા બાદ ડીવાયએસપીએ ફરિયાદ સંબંધે કર્યુ રોજકામ: નવાજૂનીનાં એંધાણ
નાગેશ્ર્વર જયોતિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે લેન્ડ ગ્રેબીંગના પણ આક્ષેપો સાથે ફરિયાદ અરજી આપવામાં આવી છે, અને જિલ્લા કલેકટર દ્વારા નાયબ પોલીસ અધિક્ષકને પત્ર લખીને કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવ્યા પછી મામલો વધુ ગંભીર બન્યો છે, આગામી દિવસોમાં આ સંબંધે નવાજૂનીનાં એંધાણ દેખાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે આ મામલે સ્થાનિક તંત્રથી લઇને પીએમઓ સુધી રજુઆતો કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટે્રટ દ્વારા નાયબ પોલીસ અધિક્ષકને પત્ર પાઠવીને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ હેઠળ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું જેમાં ૧૬-૬-૨૬ના રોજ કલેકટરના મળેલા પત્રનો સંદર્ભ અપાયો હતો.
કલેકટરે આ પત્રમાં જણાવ્યું છે કે એમને અરજદાર ચેતન ભારથી, કેશુ ભારથી ગોસાઇ દ્વારા એવી રજુઆત કરવામાં આવી છે કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ જયાબેન કેસુ ભારથીએ પોર્ટલ પર કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
જયાબેન કેશર ભારથી દ્વારા દ્વારકા તાલુકાના નાગેશ્ર્વર ગામના સર્વે નંબર અપાયા છે અને આ સર્વે નંબર પર એક વ્યકિત સહિત ૧૫ લોકોએ ગેરકાયદે કબજો કરી પચાવી પાડેલ હોય તેમની સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે. જેણે જમીન પચાવી હોવાનો આક્ષેપ કરાયો છે તે ગીરધર ભારથી, લીલા ભારથી ગોસ્વામીનું નામ પણ આપવામાં આવ્યું છે, કલેકટરે પોલીસને પુછયુ છે કે લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા પાત્ર છે કે કેમ તે અંગેનો તપાસ અહેવાલ તાત્કાલિક અસરથી રજુ કરવો.
કલેકટરના આ આદેશ બાદ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા જગ્યા સંબંધે પંચનામુ કરવામાં આવ્યું છે અને કેટલાક નિવેદનો પણ નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ટુંકમાં વિખ્યાત નાગેશ્ર્વર જયોતિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓનાં વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચે એવું લાગે છે.