દેવભૂમિ દ્વારકાના શીરપકાંડનો મુખ્ય આરોપી ઉત્તરાખંડમાંથી ઝડપાયો
દ્વારકા એલસીબી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઉપાડી લાવી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓ, પેરોલ જમ્પ કરનાર તેમજ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી, એસઓજી સહિતની ટીમોને વિશેષ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા અને એસ.વી. કાંબલીયા સહિતની ટીમ દ્વારા ગુનાઓમાં ફરાર આરોપીઓ અંગે ટેકનિકલ તેમજ માનવીય બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન જિલ્લાના તેમજ જિલ્લા બહારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી એસઓજી તથા પોલીસ સ્ટેશનના સ્ટાફની ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને રાજ્ય બહાર તપાસ માટે મોકલવામાં આવી હતી.
જેમાં એએસઆઈ મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પીંડારીયા અને મુકેશભાઈ કેશરીયા દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસો અને સ્થળ તપાસના આધારે મહત્વની સફળતા મળી હતી.
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શીરપકાંડના અતિ ગંભીર ગુનાઓના આરોપી તથા જામનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ છેલ્લા આશરે બે વર્ષથી ફરાર રહેલા આરોપી પંકજભાઈ બ્રીજમોહન ખોસલા (ઉ.વ. ૫૩), રહે. સંગરૂર, પ્રતાપનગર, જી. સંગરૂર (પંજાબ)ને ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ તેને જામનગર જિલ્લા જેલ ખાતે સોંપી પુન: જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. વાળા, એલસીબી સ્ટાફ, ટેકનિકલ ટીમ, એસઓજી સ્ટાફ તેમજ સલાયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી.