"ED ધરપકડ ન કરવાની ગેરેંટી આપે તો કેજરીવાલ હજાર થવા તૈયાર" : હાઈકોર્ટે ન આપી કોઈ રાહત 

  • March 20, 2024 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

“હાજર થશો ત્યારે જ ખબર પડશે કે તમને આરોપી તરીકે બોલાવાયા છે કે સાક્ષી તરીકે : દિલ્હી હાઇકોર્ટ  

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે. તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ મોકલ્યા છે, પરંતુ સીએમ ઇડી સમક્ષ હાજર થયા નથી. કેજરીવાલે ઇડીના સમન્સને ગેરકાયદે ગણાવીને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કેજરીવાલની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી. જો કે અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી નથી. કેસની આગામી સુનાવણી 22 એપ્રિલે થશે.


હાઈકોર્ટે પૂછ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઇડી સમક્ષ કેમ હાજર નથી થઈ રહ્યા? કોર્ટે કેજરીવાલને કહ્યું કે સૌથી પહેલા તમે દેશના નાગરિક છો. કોર્ટે કેજરીવાલને કહ્યું કે જ્યારે તમે ઇડી સમક્ષ હાજર થશો ત્યારે જ તમને ખબર પડશે કે તેમના દ્વારા તમને સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહ્યા છે કે આરોપી તરીકે. હાઈકોર્ટે કહ્યું કે સમન્સ તેમના નામે છે, તેથી તેમને જવું પૂછપરછ માટે જવું જોઈએ. દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું કે અરવિંદ કેજરીવાલ સમન્સ પર કેમ હાજર નથી થઈ રહ્યા? આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે તમામ સમન્સનો જવાબ આપી દીધો છે. અરવિંદ કેજરીવાલ ગમે ત્યારે જવા માટે તૈયાર છે, કોઈ સમસ્યા નથી પણ અમને રક્ષણની જરૂર છે. જો ઇડી ગેરેંટી આપે કે તેઓ સીએમની ધરપકડ નહી કરે અથવા કોર્ટ ધરપકડ ન કરવા માટે આદેશ આપે તો તેઓ ચોક્કસ જશે.


સિંઘવીએ પૂછ્યું હતું કે સીએમ કેજરીવાલને સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહ્યો છે કે આરોપી તરીકે  તેના પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલ હાજર થશો ત્યારે જ ખબર પડશે. કોર્ટે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તમને ઇડી સમક્ષ હાજર થવાથી શું રોકી રહ્યું છે. તેઓ તમારી પહેલી હાજરી પર જ તમારી ધરપકડ નહીં કરે, તેઓ તમને કારણો આપ્યા પછી જ ધરપકડ કરશે. 


હાઈકોર્ટમાં સુનાવણી બાદ દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની અરજી પર કોર્ટની પ્રાથમિક સુનાવણીથી સ્પષ્ટ છે કે ઇડીના તમામ સમન્સ માન્ય હતા. આ સમન્સ કેજરીવાલના અંગત હતા. તેમની પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. કેજરીવાલે કોર્ટમાં હાજર થવું જોઈએ. જો તે સાચા છે તો તપાસથી કેમ ભાગી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે સીએમ કેજરીવાલે ઇડી એક્ટની ઘણી કલમોને પડકારી છે. 9 સમન્સને પડકારવામાં આવ્યા હતા. 


ઇડીએ કેજરીવાલને 21 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. તપાસ એજન્સીએ કેજરીવાલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમન્સને ગેરકાયદે ગણાવીને મુખ્યમંત્રીએ એજન્સી સમક્ષ હાજર થવાનો વારંવાર ઇનકાર કર્યો છે. આ મામલો 2021-22 માટે દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. આ પોલિસી બાદમાં રદ કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાની ભલામણ બાદ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ કથિત ભ્રષ્ટાચારના કેસમાં એફઆઈઆર નોંધી અને તેના આધારે ઇડીએ મની લોન્ડરિંગના આરોપોની તપાસ શરૂ કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application