જામનગર : કમલા નહેરૂ પાર્ક ૨૦ દિવસથી બંધ: સહેલાણીઓ-બાળકો પરેશાન
તળાવની પાળે તંત્ર દ્વારા રીનોવેશનના બહાને ગાર્ડન બંધ કરાયો: કામ કયારે ચાલુ થશે ?
જામનગરના તળાવની પાળે આવેલા કમલા નહેરુ પાર્ક આશરે ૨૦ દિવસથી લોકો માટે બંધ હોવાનું બહાર આવ્યુ છે જેના કારણે હાલ ઉનાળો અને વેકેશનના સમયમાં લોકોને મુશ્કેલી પડી રહી છે. જો તંત્ર દ્વારા રિનોવેશન કામ સબબ બંધ કરાયુ હોય તો પછી લાંબો સમય થવા છતા કામ કેમ ચાલુ કરાયુ નથી કયારે કામ ચાલુ થશે અને કયારે પુરુ થશે તેની કોઇ ગણતરી ન હોય આથી સ્વાભાવીક રીતે જ વેકેશન-ઉનાળાનો પિરિયડ પુરો થઇ જશે તેમ માની શકાય.
જામનગરમાં એક બાજુ તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે ઉપરાંત લોકોને હરવા ફરવાના સ્થળે સરળતા રહે સુવિધા મળે એ પ્રકારનું આયોજન સમયાંતરે કરાય છે ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં ગાર્ડન બનાવવામાં આવ્યા છે પરંતુ ઘણી વખત જાળવણીના અભાવે તેમને પુરતો લાભ મળતો નથી વચ્ચે બે-ત્રણ ગાર્ડનના હિંચકા સહિતના સાધનો તુટી ગયાની ફરીયાદો ઉઠી હતી દરમ્યાનમાં જામનગરના તળાવની પાળ ગેઇટ નં. ૬ પાસે આવેલા કમલા નહેરુ પાર્ક છેલ્લા ૨૦ દિવસથી રીપેરીંગના નામે બંધ છે.
રીપેરીંગ કામ શરૂ થયુ નથી અને કયારે થશે એ પણ જાણમાં નથી માટે લાંબો સમયથી કમલા નહેરુ પાર્ક કે જેનો નગરના સહેલાણીઓ મહત્તમ લાભ લે છે ખાસ કરીને વેકેશન અને ઉનાળાના દિવસો દરમ્યાન તેમજ રજાના દિવસોમા અહી હરવા ફરવા માટે લોકો પસંદગી ઉતારે છે, પરિવાર સાથે ગાર્ડનમાં આવીને મનોરંજન માણે છે પરંતુ ઘણા સમયથી પાર્ક બંધ હોવાથી અહી આવનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે ખાસ કરીને બાળકોના વેકેશનમાં લાંબા સમયથી ગાર્ડન બંધ હોવાથી ભુલકાઓ લાભ લઇ શકતા નથી માટે રીપેરીંગનુ જે કામ બાકી હોય તે તાકીદના ધોરણે કરી લોકો માટે આ ગાર્ડન ખુલ્લો મુકવામાં આવે તેવી નગરજનોમાં માંગણી ઉઠવા પામી છે.