જામનગરમાં ૮ તોલા સોનાના દાગીના ચાઉં કરી ગયાની ભાભી સામે રાવ
થોડા વર્ષો પહેલા પુત્રીના દાગીના સાચવવા આપેલા: પરત નહીં આપીને વિશ્ર્વાસઘાત કર્યો
જામનગરના ગણેશફળીમાં રહેતા આધેડે પોતાની પુત્રીના આઠ તોલા દાગીના થોડા વર્ષો પહેલા ભાભીને સાચવવા માટે આપ્યા હતા, દરમ્યાન આ ઘરેણા પરત નહીં આપીને વિશ્ર્વાસઘાત કર્યાનો મામલો પોલીસમાં પહોચ્યો છે, મહાવીર સોસાયટીમાં રહેતા મહિલા સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના ગણેશફળી, વાલ્મીકીવાસમાં રહેતા અરૂણભાઇ ભીમજીભાઇ વાઘેલાએ સીટી-એ ડીવીઝનમાં હર્ષદમીલની ચાલી નજીક મહાવીર સોસાયટી શેરી નં. ૧માં રહેતા પ્રભાબેન ધનજીભાઇ વાઘેલાની વિરુઘ્ધ બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૧૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદીના ભાઇ ધનજીભાઇ તથા ભાભી પ્રભાબેન ૨૦૧૮માં મહાવીરનગર ખાતે ફરીયાદીના દિકરી કીર્તીબેનના સોનાના દાગીના જેમાં ૩ તોલાનો સોનાનો હાર, ૩ તોલાની પાનબુટી, ૧ તોલાની સોનાની કાન સર, ૧ વીંટી મળી આશરે આઠેક તોલા સોનાના દાગીના જેની હાલની કિ. રૂ. ૫ લાખ જેટલી થાય છે જે સાચવી રાખવાનું કહીને ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇને તેમની પાસેથી દાગીના લઇ ગયા હતા.
દરમ્યાનમાં લાંબો સમય થતા દાગીના પરત આપ્યા ન હતા અને ૨૦૨૪માં આ દાગીના આરોપી મહિલાએ તેમની દિકરીને આપી દીધાનું જાણવા મળ્યુ હતું આથી ફરીયાદી દ્વારા દાગીના પરત બાબતે વાતચીત કરી હતી વચ્ચે સમાધાનના પ્રયાસો પણ થયા હતા જો કે વાત નિષ્ફળ રહી હતી અંતે ફરીયાદી અરૂણભાઇ દ્વારા તેમના ભાભી પ્રભાબેન વાઘેલા સામે દાગીના પરત નહી આપીને વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવતા સીટી-એ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ ચલાવવામાં આવી રહી છે.