જામનગરમાં પીએમના અભિવાદન કાર્યક્રમમાં લોક નૃત્યો અને રાસ મંડળીની રમઝટ
પરંપરાગત રાસ-ગરબાથી ગુજરાતી સંસ્કૃતિ ઝળહળી, કલાકારોની કલાથી લોકો મંત્રમુગ્ધ
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન કાર્યક્રમ દરમિયાન ગુજરાતીની આગવી ઓળખ અને સાંસ્કૃતિક ઝલક જોવા મળી હતી. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક ન જોવા મળે તો શું કામનું? તેવી લાગણીને સાકાર કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત રાસ મંડળી દ્વારા પરંપરાગત રાસ અને ગરબાની રંગતભરી રજૂઆત કરવામાં આવી હતી. સ્ટેજ પર કલાકારો પરંપરાગત ગુજરાતી પહેરવેશમાં સજ્જ થઈ ઢોલ અને તાલના સંગાથે રાસ રમતા જોવા મળ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સ્થળે ગુજરાતની લોકસંસ્કૃતિનો જીવંત માહોલ સર્જાયો હતો. રાસ મંડળીની કલાકારોએ ઉત્સાહ અને ઉમંગ સાથે રજૂઆત કરતા ઉપસ્થિત લોકો પણ તાલીઓના ગડગડાટ સાથે તેમને વધાવ્યા હતા.
પરંપરાગત સંગીત, રંગબેરંગી પહેરવેશ અને લોકનૃત્યના સમન્વયથી સમગ્ર વાતાવરણ ઉત્સવી બની ગયું હતું. વડાપ્રધાન મોદીના આગમનને લઈને જામનગરમાં માત્ર રાજકીય નહીં પરંતુ સાંસ્કૃતિક ઉત્સવ જેવી લાગણી જોવા મળી હતી. વિવિધ સમાજ અને કલાકારો દ્વારા ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને ભવ્ય રીતે રજૂ કરવામાં આવી હતી.