દેવભૂમિ દ્વારકા: બનાવટી સરકારી આઈકાર્ડ દ્વારા દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરાવવાની પેરવી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ડી.એલ.એસ.એ. વિભાગના અધિકારી ઉદયપાલસિંહ એચ. જાડેજાએ પીએલવી તુલસીભાઈ નકુમ સામે તેઓ સરકારી કર્મચારી ન હોવા છતાં પણ અશોક સ્તંભ સાથેનું બનાવટી આઈડી કાર્ડ બનાવી, અને દ્વારકાધીશ મંદિરમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી, ગુનો આચર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી પીએલવી તુલસીભાઈ નકુમ દ્વારા પોતે રાજ્ય સેવક ન હોવા છતાં રાજ્ય સેવક હોવાની ખોટી ઓળખ ઊભી કરી અને રાજ્ય સેવક હોવાનો ઢોંગ કરી પોતે રાજ્ય સેવક હોવાનું અને ભારત સરકારના સત્તાવાર "રાજ્ય પ્રતીક" (અશોક સ્તંભ) છાપેલા બનાવટી આઈડી કાર્ડ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેણે દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં આવતા દર્શનાર્થીઓને વી.આઈ.પી. દર્શન કરાવીને તેના બદલામાં આર્થિક લાભ લેવામાં આવતો હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે બી.એન.એસ.ની કલમ ૨૦૪, ૩૩૫, ૩૩૬, ૩૩૮ તથા ૫ અને ધી સ્ટેટ એમ્બેલ ઓફ ઇન્ડિયા (પ્રોહિબિશન ઓફ ઇમ્પ્રોયર યુઝ) એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ કરવામાં આવી છે.