જામનગરની વડલો નામની કરોડોની કિંમતી જમીનનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો
જામનગર નગરસીમ વિસ્તારમાં આવેલી અને વડલો તરીકે ઓળખાતી કરોડોની કિંમતી ખેતીની જમીનનો ગજગ્રાહ હવે ગુજરાત હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો છે. આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે, ગુજ. હલીમાબેનના વારસદારો ધાંચી હનીફ ઈશા મેતર, ધાંચી રફીક ઈશા મેતર અને ધાંચી જુબેદાબેન ઈશા મેતરે પોતાના પિતા તથા ભાઈ-બહેનો સામે વડીલોપાર્જિત મિલકત મેળવવા અંગે જામનગરની અદાલતમાં રેગ્યુલર દાવો દાખલ કર્યો હતો. આ વિવાદ જામનગર નગરસીમ વિસ્તારના રેવન્યુ રેકોર્ડ મુજબ જામનગર ૩ (બી) ના ખાતા નંબર ૪૭ થી નોંધાયેલ રેવન્યુ સર્વે નંબર ૮૨૨ વાળી ખેતીની જમીન (કુલ હેક્ટરે.આરે.ચો.મી. ૬-૧૩-૧૦) નો છે, જેમાં વાદીઓએ મુસ્લિમ શરિયત અનુસાર પાર્ટીશન કરી પોતાના હિસ્સાની મિલકતનો કબજો મેળવવા માંગણી કરી હતી.
ત્યારબાદ, નીચલી કોર્ટના હુકમ સામે જામનગરની મે. ડિસ્ટ્રિક્ટ અદાલત સમક્ષ રેગ્યુલર દીવાની અપીલ દાખલ કરવામાં આવી હતી. જોકે, ડિસ્ટ્રિક્ટ કોર્ટે એપેલેન્ટની આ અપીલ ડિસમિસ કરી દીધી હતી. આ હુકમથી નારાજ થઈને આખરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સેક્ધડ અપીલ નંબર એફ/એસે/૧૫૫૬૪/૨૦૨૬ થી પિટિશન દાખલ કરવામાં આવી છે. આમ, આ કિંમતી મિલકત સંબંધે આજની તારીખ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિવાદ પેન્ડિંગ છે અને સમગ્ર મામલો અદાલતના હુકમને નિર્ણયાધીન (સબજ્યુડિસ) છે. મુસ્લિમ શરિયત અનુસાર પોતાનો વારસાઈ હક્ક, હિત અને હિસ્સો મેળવવા માટે દાખલ કરાયેલી આ પિટિશનમાં પિટિશનર ધાંચી હનીફ ઈશા મેતર તથા જુબેદાબેન ઈશા મેતર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં વકીલ વત્સલ ડી. રૂપારેલ તથા જામનગરના સિનિયર એડવોકેટ વકીલ જયેન્દ્રસિંહ એન. ઝાલા રોકાયેલા છે.