જામનગર જિલ્લાની રજીસ્ટર ગૌશાળા, પાંજરાપોળ અને ગ્રામ પંચાયતોને વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા પશુપાલન વિભાગનો અનુરોધ
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર ૩૦ જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે
ગુજરાત સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વિવિધ કલ્યાણકારી અને સહાયકારી યોજનાઓ અંતર્ગત લાભ મેળવવા ઈચ્છતી જામનગર જિલ્લાની તમામ રજીસ્ટર થયેલી ગૌશાળાઓ, પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને પશુપાલન વિભાગ દ્વારા એક અગત્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત (i-khedut 2.0) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજીયાત છે.
આ હેતુસર આગામી તારીખ ૦૧ જૂન, ૨૦૨૬ થી તારીખ ૩૦ જૂન, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવા માટેનું અધિકૃત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.
તમામ સંબંધિત સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોએ સમયમર્યાદામાં જે-તે યોજના અંતર્ગત પોર્ટલ પર ઓનલાઈન અરજી દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ તે અરજીની પ્રિન્ટ મેળવીને, યોજનાના નિયમોનુસાર જરૂરી તમામ સાધનિક કાગળો અને આધાર-પુરાવાઓ સાથે સંબંધિત નોડલ એજન્સી અથવા કચેરી ખાતે નિયત સમયમાં હાર્ડકોપી રૂબરૂ સબમિટ કરવાની રહેશે.
જામનગર જિલ્લામાં ગૌવંશ સંવર્ધન અને ગૌચર વિકાસની પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તે માટે પાત્રતા ધરાવતી તમામ સંસ્થાઓને બહોળા પ્રમાણમાં ઓનલાઈન અરજી કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. આ યોજનાઓ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા બાબતે વધુ વિગતવાર માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે સંસ્થાઓએ પોતાના નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક સાધવાનો રહેશે.