રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતાની સાથે આજથી જ રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં જબરો ઘટાડો નોંધાયો છે અને ભાવ લગભગ બમણાં થઇ ગયા છે. સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બનતા તેમજ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં ભારે વરસાદ વરસતા હાલ સ્થાનિક તેમજ આંતરરાજ્ય તેમ બન્ને આવકોમાં ઘટાડો નોંધાયો છે. તદ્ઉપરાંત હાલ સુધી તીવ્ર તાપ અને હવે વરસાદ વરસ્યાં બાદ ભેજ વધતા વાતાવરણમાં પલટાથી બગાડ પણ વધ્યો છે જેથી ભાવ ઝડપભેર વધ્યા છે તેમ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું.
વિશેષમાં રાજકોટ યાર્ડના વેપારી વર્તુળોએ ઉમેર્યું હતું કે, આજની હરાજીમાં અમુક જણસીઓમાં ભાવ પ્રતિ કિલોના રૂ.૧૦૦ કે તેથી પણ વધુ બોલાયા હતા જેમાં મુખ્યત્વે કોથમીરના કિલોના રૂ.૧૦૦, વટાણાના રૂ.૧૧૨ અને આદુના રૂ.૧૨૦ના ભાવે સોદા થયા હતા. જ્યારે લીલા મરચાના પણ પ્રતિ કિલોના રૂ.૪૦થી ૫૦ના ભાવે સોદા થયા હતા. યાર્ડમાં હાલ સ્થાનિક વિસ્તારોમાંથી થતી આવકો ઘટી છે ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક અને સંગમનેર તેમજ કર્ણાટકના બેંગલોરથી થતી ટમેટાની આવક હિમાચલ પ્રદેશથી ફ્લાવરની આવક વિગેરે અન્ય રાજ્યોમાંથી થતી આવક પણ ઘટી ગઇ છે. અન્ય રાજ્યોમાં ભારે વરસાદ હોય ત્યાંથી ગુજરાત સુધી પહોંચવામાં વિલંબ થાય છે અને તેના કારણે બગાડનું પ્રમાણ વધ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થતા ત્યાંથી થતી આવકો પણ વિલંબિત થઇ રહી છે.જ્યારે સ્થાનિકે આ વર્ષે ઉનાળામાં આકરો તાપ વરસતા તેમજ ચોમાસામાં વરસાદ ખેંચાતા પાણીની ઉપલબ્ધિના અભાવે ખેડૂતોએ શાકભાજીનું વાવેતર ઘટાડ્યું છે જેના કારણે આવકો ઘટી છે અને ભાવ વધ્યા છે.