ભારતમાં દર વર્ષે ૧૬ મે 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ડેન્ગ્યુ નિયંત્રણ માટે થયેલી કામગીરીનું પ્રોત્સાહક ચિત્ર સામે આવ્યું છે. આ ચેપી રોગના નિયંત્રણ માટે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના નિર્દેશ મુજબ, અને મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. આર.આર. ફુલમાળીના માર્ગદર્શનમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. જેના પરિણામે રાજકોટમાં છેલ્લા દોઢ વર્ષમાં ડેન્ગ્યુના કેસોમાં ૮૬ ટકા કરતા પણ વધુ ઘટાડો નોંધાયો છે.
ડેન્ગ્યુ એ એડીસ ઈજીપ્તી (માદા એડીસ મચ્છર) દ્વારા ફેલાતો ગંભીર ચેપી રોગ છે. જેનો ફેલાવવો અટકાવવામાં તંત્રને સફળતા મળી છે. જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. ગૌરાંગ ઉપાધ્યાય તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન ડેન્ગ્યુના કુલ ૪૮૬ કેસો નોંધાયા હતા. જેમાં ઉપલેટામાં સાત, ધોરાજીમાં ૧૩, જેતપુરમાં ૧૯, જામકંડોરણામાં ૧૬, ગોંડલમાં ૩૪, કોટડા સાંગાણીમાં ૧૨૨, જસદણમાં ૩૪, વિંછીયામાં ૧૩, રાજકોટ તાલુકામાં ૮૭, લોધિકામાં ૧૧૦ તથા પડધરીમાં ૩૧ કેસો સામે આવ્યા હતા. જેની સામે જાન્યુ.થી ડિસે. ૨૦૨૫ દરમિયાન જિલ્લામાં ડેન્ગ્યુના ૬૭ કેસો નોંધાયા છે. જે આગલા વર્ષ કરતાં ૮૬.૨૨ ટકાનો ઘટાડો દર્શાવે છે. વર્ષ ૨૦૨૫માં ગોંડલમાં ત્રણ, ધોરાજીમાં એક, જેતપુરમાં બે કેસ જ્યારે જામકંડોરણામાં એક પણ કેસ નોંધાયો નહતો. ગોંડલમાં ચાર જ્યારે કોટડા સાંગાણીમાં ૧૪, જસદણમાં છ, વિંછીયામાં બે, રાજકોટમાં ૧૪, લોધિકામાં ૨૦, પડધરીમાં એક કેસ નોંધાયો હતો. જિલ્લામાં કોટડાસાંગાણી, રાજકોટ તથા લોધિકા તાલુકામાં વર્ષ ૨૦૨૪માં વધુ કેસો હતા, જેની સામે વર્ષ ૨૦૨૫માં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૨૬ના ચાર માસમાં ઉપલેટા, જેતપુર, પડધરીમાં ડેન્ગ્યુનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ધોરાજી, જામકંડોરણા, વિંછિયા, જસદણ, રાજકોટ તાલુકામાં એક-એક કેસ તેમજ ગોંડલ, કોટડા સાંગાણી, લોધિકામાં ત્રણ-ત્રણ કેસ સામે આવ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર. ફુલમાળીની કચેરી તરફથી મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા ગોંડલ, રાજકોટ તથા પડધરી તાલુકાના પાંચ ગામોમાં ઘરે-ઘરે જંતુનાશક દવા છંટકાવ કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે જિલ્લાના વિવિધ અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય શાખાની ટીમો દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો નાશ, પોરાનાશક કામગીરી, તાવ સર્વેલન્સ સહિતની સઘન કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત ગ્રામ પંચાયતના આગેવાનો, સભ્યો સાથે બેઠક યોજીને તેમને સમજૂતિ આપીને ડેન્ગ્યુ નિયંત્રણ માટે જનભાગીદારી વધારવાના પ્રયાસો કરવામાં આવે છે.