સોમનાથના ઘૂઘવતા સાગરમાં ત્રણ યાત્રિકો તણાયા, બેનો બચાવ: એક લાપતા
સોમનાથના ઘૂઘવતા સાગરમાં ત્રણ યાત્રિકો તણાયા, બેનો બચાવ: એક લાપતા
May 23, 2026 10:40 AM
સોમનાથ મહાદેવ મંદિરના સાંનિધ્ય ચોપાટીના ઘૂઘવતા સાગરમાં ગઇકાલે બપોરે ત્રણ યાત્રી યુવકો તણાયા હતાં. જેમાં બેનો બચાવ થયો હતો. જયારે એક લાપતા બન્યો હતો. બે વ્યકિતને કિનારા ઉપરના ફોટોગ્રાફરો, ઘોડા અને ઉંટવાળાઓએ જહેમત કરી બચાવી લીધા હતાં. જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્ર્રના સોલાપુર ગામનો તેર સભ્યોનો પરિવાર જૂનાગઢ–ગિરનાર સહિત થઇ ગઇકાલે સોમનાથની યાત્રાએ આવ્યો હતો. જેમાંથી ત્રણ યુવાનો સોમનાથ સાગર તટે મઝા લઇ રહ્યા હતાં. તેમાં એકાએક તણાવા લાગતા ફોટોગ્રાફરો, ઘોડેસવાર વગેરેએ દોડી જઇ બેને સલામત રીતે બહાર કાઢયા હતાં. જયારે વિઠ્ઠલભાઉ ગાંવકર નામનો ૨૪ વર્ષનો યુવાન લાપતા બન્યો હતો. આ અંગે વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરાતા જવાનો સાધનો સાથે શોધખોળમાં લાગી ગયા હતાં. જેમાં સ્ટાફના જમાદાર સુનિલભાઇ, નરેન્દ્રસિંહ, ફાયરમેન જીતેન્દ્રસિંહ ગોહીલ, ભાવેશ ચાવડા તથા બે ટ્રેઇની તેમાં જોડાયા હતાં. ભરત સોલંકી નામના ઘોડેસવારી કરાવતા યુવકે જણાવ્યું હતું કે, યુવાનોને તણાતા જોતાં જ બધા તેને બચાવવા માટે દોડયા હતાં, પોલીસ પણ દોડી હતી. અત્રે યાદ રહે સોમનાથના સમુદ્રમાં કાયમી ધોરણે ન્હાવાની મનાઇ હોવાનું જાહેરનામું છે અને તે અંગેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે