મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના યુવા સોશિયલ ગ્રુપ જામનગર અને જામનગર તાલુકા અભ્યુદય મંડળના તેમજ દાતાઓના સહકારથી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ- બહેનો અને ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક વિતરણ અને રાહત દરે ફુલસ્કેપ વિતરણનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. જેમાં અસંખ્ય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમના મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી હિરેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક કાર્યમાં હંમેશા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનું આ ગ્રુપ આગળ રહે છે અને તેને જામનગર તાલુકા અભ્યુદય મંડળ અને મહીલા પાંખનો પણ સહકાર હોય છે, ૩૨ વર્ષથી વધુ સમયથી જ્ઞાતિના લોકો ઉપરાંત ગરીબ લોકોને પાઠય પુસ્તક અને ચોપડા વિતરણ કરવામાં આવે છે, કોઈ પણ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક તેમજ સ્કૂલ કે કોલેજમાં ફી ભરવામાં પ્રોબ્લેમ હોય તો તેઓ મારો સંપર્ક સાધી શકે છે. અને તેમને જરૂરી સહાય કરીશું. શિક્ષણ વિભાગ માટે અમો સદાય કામગીરી કરવા તત્પર છીએ. યુવા સોશિયલ ગ્રુપ છેલ્લા ૩૨ વર્ષથી વિદ્યાર્થીઓ માટે પુસ્તકની કામગીરી કરી રહ્યું છે.
આગામી દિવસોમાં સાંસ્કૃતિક હોલ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં બની રહ્યો છે તેના માટે કાર્યકરોને તૈયાર રહેવા અને અન્ય સેવાકીય કાર્યોમાં આગળ રહેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં યુવા સોશિયલ ગ્રુપ જામનગરના પ્રમુખ ચેતન ત્રિવેદી, ટ્રસ્ટીઓ હિરેન ત્રિવેદી ડો. પ્રકાશભાઈત્રિવેદી, અશોક ત્રિવેદી બીપીન ત્રિવેદી પ્રમોદ ભાઈ ત્રિવેદી, હિતેશ ત્રિવેદી ખુશાલ ત્રિવેદી, પરેશ ત્રિવેદી,પરશુરામ ત્રિવેદી તેમજ મહિલા પાખના જાગૃતીબેન, હેતલબેન, અલકાબેન, ધારીણીબેન, જ્યોતિબેન ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. કાર્યક્રમના અંતમાં યુવા સોશ્યલ ગ્રુપ જામનગરના પ્રમુખ ચેતન ત્રિવેદીએ આભાર વિધી કરી હતી.