ઉનાળાના સમયમાં તંત્ર દ્વારા જરૂરિયાત મંદ ગામડાઓમાં પાણી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નવા રાજપીપળા, જુના રાજપીપળા, નવી ખોખરી, મહિકા, અરણી સહિતના ગ્રામ્ય વિસ્તારોને જરૂરી પાણીના ટાંકા મોકલી ૨.૦૫ લાખ લિટર પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ પહેલા અનિડા વાછરા, પીપળીયા પાળ, ખોખડદડ અને કાંગસિયાળી ગામના વિસ્તારોમાં ૩.૨૦ લાખ લિટર પાણી પહોંચાડવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને આ વખતનો કાળજાળ તડકો ભારે પડ્યો છે. ભારે તાપથી નદી, નાળા સહિત જમીનના તળમાં પાણી ખૂટી પડ્યું છે. જેને લઈને અનેક ગામોમાં પાણીની સમસ્યા સર્જાતા તંત્ર પણ કામે લાગ્યું છે. રાજકોટના કાર્યપાલક ઇજનેર પાસેથી મળતી માહિતી અનુસાર, નવા રાજપીપળામાં પાંચ હજાર લીટરના છ ફેરા, જુના રાજપીપળામાં આઠ હજાર લીટર ના છ ફેરા, નવી ખોખરીમાં પાંચ હજાર લીટરના ચા ફેરા, અરણીમાં પાંચ હજાર લીટરના સાત ફેરા, સાજડીયારીમાં પાંચ હજાર લીટરના ચાર ફેરા અને મહિકા માટે પાંચ હજાર લીટરના વીસ જેટલા ટેન્કરના ફેરા કરી પૂરતું પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ પહેલા ઉનાળો શરૂ થતા તંત્ર દ્વારા ૩.૨૦ લાખ લિટર પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં અનિડા વાછરા, પીપળીયા પાળ સોસાયટી વિસ્તાર, ખોખડદડ રૂડા વિસ્તાર, કાંગસિયાળી રૂડા વિસ્તારનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય કોઈ વિસ્તારની પાણીની જરૂરિયાતને માગણી આવશો તાત્કાલિક પાણી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.