રોગચાળો બેકાબૂ: રાજકોટમાં ત્રણ દિવસમાં ડેંગ્યુથી બીજું મોત

  • September 21, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રોગચાળો બેકાબુ બન્યો છે, મચ્છરજન્ય ડેન્ગ્યુ અને મલેરિયાના રોગમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે, રાજકોટમાં ત્રણ દિવસમાં ડેન્ગ્યુથી બે મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ-મલેરિયાની સારવાર લઇ રહ્યા છે. ત્રણ દિવસ પહેલા કોઠારીયા વિસ્તારમાં ડેન્ગ્યુથી મહિલાનું મૃત્યુ થયું હતું જયારે ગત રાત્રીના પેડક રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતા 28 વર્ષીય યુવકને ડેન્ગ્યુ ભરખી જતા વોકહાર્ટ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. બનાવમાં પરિવારે કુવાડવા રોડ પર આવેલી સ્કંદ હોસ્પિટલના તબીબ સામે પણ બેદરકારીનો આક્ષેપ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર સેટેલાઇટ ચોક નજીક સેટેલાઇટ સોસાયટી શેરી નં-1માં રહેતા જય સુભાષભાઈ રેણપરા (ઉ.વ.28) ના યુવકને કેટલાક દિવસથી તાવ આવતો હોઈ મેડિકલમાંથી દવા લીધી હતી એમ છતાં સારું ન થતા કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે આવેલી ડો.હાર્દિક સંઘાણીની સ્કંદ હોસ્પિટલમાં માં તા.19ના બપોરના અગ્યારેક વાગ્યાના અરસામાં સારવાર માટે જતા ત્યાં યુવકની સ્થિતિ જોઈ દાખલ કરવામાં આવ્યો હતો. તેના રિપોર્ટ કરવામાં આવતા ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું. બે દિવસની સારવાર દરમિયાન યુવકના પ્લેટલેટ ઘટતા હતા તેને વધુ સારવારની જરૂર હોવાથી સ્કંદ હોસ્પિટલમાં ડો.જીગ્નેશ પટેલ દ્વારા વોકહાર્ટમાં લઇ જવાનું કહેતા વોકહાર્ટમાં ખસેડવામાં આવતા ત્યાં દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર યુવક ઓટો ક્ધસલન્ટનનો વ્યવસાય કરતો હતો. એક ભાઈ બહેનમાં મોટો હતો. પિતાને ઓટો સ્પેર પાટ્ર્સની દુકાન છે.મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, પુત્રને સ્કંદ હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે ડો.હાર્દિક સંઘાણી તેની સારવાર કરી રહ્યા હતા. ગઈકાલે બપોરથી ડો.હાર્દિક સંઘાણી અચાનક ક્યાંક જતા રહ્યા હતા બાદમાં અમે હોસ્પિટલના સ્ટાફને પૂછતાં સાહેબ બારગામ ગયા હોવાનું કહ્યું હતું આથી અમે સારવાર કોણ કરશે પૂછતાં બીજા ડોક્ટર આવશે તેમ જણાવ્યું હતું. થોડીવાર પછી વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર જીગ્નેશ પટેલ આવ્યા હતા અને પુત્રની તબિયત વધુ ખરાબ હોઈ આથી તેને વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવાનું કહેતા અમે ત્યાં લઇ ગયા હતા ત્યાં પહોંચતા અડધો કલાકમાં પુત્રનું મુત્યુ થયું હતું. ચાલુ સારવારે સ્કંદ હોસ્પિટલના ડોક્ટર ડો.હાર્દિક સંઘાણી ચાલ્યા જતા પુત્રને યોગ્ય સારવાર મળી ન હોવાથી મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. યુવકના મોતથી ચાર માસના પુત્રએ પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application