વ્યસન છોડવા ઈચ્છતા લોકોને વિનામૂલ્યે મળી રહેશે પરામર્શ સહિત તબીબી સહાય
જામનગરની સુપ્રસિદ્ધ ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલ દ્વારા જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વ્યસનમુક્ત સમાજની દિશામાં એક કદમ આગળ વધતા હોસ્પિટલ ખાતે 'તમાકુ મુક્તિ કેન્દ્ર' (TCC) દરરોજ કાર્યરત કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુ, બીડી, સિગારેટ કે માવા જેવા જીવલેણ વ્યસનોથી પીડાતા લોકોને વ્યસન છોડવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને જરૂરી તબીબી સહાય પૂરી પાડવાનો છે.
આ કેન્દ્ર ખાતે તમાકુ છોડવા ઈચ્છતા નાગરિકોને નિષ્ણાંતો દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવે છે. જે વ્યક્તિઓ વ્યસન છોડવા માંગે છે પરંતુ મક્કમતા નથી કેળવી શકતા તેમને અહીં માનસિક અને તબીબી રીતે મજબૂત બનાવવામાં આવે છે. આ સેવા જામનગરની ૭૦૦ બેડની નવી બિલ્ડિંગમાં પ્રથમ માળે આવેલા માનસિક રોગ વિભાગની ઓપીડીમાં કાર્ય સમય દરમિયાન ઉપલબ્ધ રહેશે.
આરોગ્ય તંત્ર દ્વારા જામનગર જિલ્લાની જાહેર જનતાને આ સેવાનો મહત્તમ લાભ લેવા અને પોતાના પરિવારને વ્યસનમુક્ત બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વ્યસન છોડવા માટેની આ એક ઉત્તમ તક હોઈ, જરૂરિયાતમંદ નાગરિકોએ હોસ્પિટલના માનસિક રોગ વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે...