BREAKING NEWS

કેબિનેટની બેઠકમાં કામ ન કરતા પાંચ મંત્રાલયોથી પીએમ મોદી નારાજઃ ચાર કલાક સુધી મંત્રીઓનો ક્લાસ લીધો

  • May 22, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશો યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના સફળ પ્રવાસથી પાછા ફર્યા પછી તુરંત જ કાર્યવાહીમાં લાગી ગયા છે. ગઈકાલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મંત્રી પરિષદની એક મહત્વપૂર્ણ અને લાંબી બેઠક યોજાઈ હતી. આ બેઠક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી, કારણ કે તેમાં મંત્રીઓના પ્રદર્શનનું રિપોર્ટ કાર્ડ સીધું જાહેર થયું હતું. એનડીએ-3 સરકારના બે વર્ષ પૂર્ણ થાય તે પહેલાં હાથ ધરવામાં આવેલી આ મધ્ય-સત્ર સમીક્ષાએ મોટા કેબિનેટ ફેરબદલની અટકળોને વેગ આપ્યો છે. જેમાં ખરાબ પ્રદર્શન કરનારા પાંચ મંત્રાલયો સામે પીએમ મોદીએ લાલ આંખ કરી ખખડાવી નાખ્યા હતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ ચાર કલાક ચાલેલી આ બેઠક માત્ર સામાન્ય ચર્ચા નહોતી, પરંતુ મંત્રાલયોના પ્રદર્શનનું સંપૂર્ણ ઓડિટ હતું. કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને નીતિ આયોગના ઉપાધ્યક્ષે વિવિધ સુધારાઓ અને મંત્રાલયોના કાર્યપ્રણાલી પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યા હતા.


મંત્રાલયોનું રેન્કિંગ બે મુખ્ય પરિમાણો પર આધારિત હતું. જેમાં પહેલું સરકારી ફાઇલો મંત્રાલયોમાં કેટલી ઝડપથી આગળ વધી રહી છે અને બીજું જાહેર ફરિયાદોના નિરાકરણ માટે મંત્રાલયનો અભિગમ કેટલો ધીમો અથવા ઝડપી છે.


આ પરિમાણોના આધારે, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોચના પાંચ અને સૌથી ખરાબ પ્રદર્શન કરનારા પાંચ મંત્રાલયોની સ્પષ્ટ યાદી બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જોકે આ ખરાબ પ્રદર્શન કરનારા મંત્રીઓના નામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, આ યાદીના પ્રકાશનથી ઘણા મંત્રીઓ મૂંઝવણમાં મુકાયા છે.


રેન્કિંગમાં સૌથી ઓછું પ્રદર્શન કરનારા મંત્રાલયોને પ્રધાનમંત્રીનો સંદેશ સ્પષ્ટ હતો. નીચલા ક્રમાંકિત મંત્રાલયોને તાત્કાલિક તેમની કાર્યપદ્ધતિમાં સુધારો કરવા અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા કડક સૂચના આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે નિર્ણયો ઝડપથી લેવા જોઈએ, ઉત્પાદકતા વધારવી જોઈએ અને કોઈપણ લાલ ફિતાશાહી વિના ફાઇલોને ક્લિયર કરવી જોઈએ.


મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ નવમી જૂન, 2026ના રોજ બે વર્ષ પૂર્ણ થઈ રહ્યો છે. સરકારની આ બીજી વર્ષગાંઠ પહેલા તમામ કેન્દ્રીય મંત્રીઓને દિલ્હીમાં રહેવાના નિર્દેશથી રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે.


રિપોર્ટ કાર્ડના આધારે બેઠકમાં મંત્રાલયોના પ્રદર્શનનું જે રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું તેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે વડાપ્રધાન ટૂંક સમયમાં તેમની ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે જે મંત્રીઓનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ નથી તેમને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે અથવા તેમના વિભાગોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. દરમિયાન, સારું પ્રદર્શન કરનારા યુવા નેતાઓને ઉન્નત કરવામાં આવી શકે છે.​​​​​​​


લોકોના જીવનમાં બિનજરૂરી રીતે દખલ થવું નહીંઃ મોદી

આ બેઠકમાં, કૃષિ, શ્રમ, માર્ગ પરિવહન, કોર્પોરેટ બાબતો, વિદેશ, વાણિજ્ય અને ઉર્જા સહિત અનેક મુખ્ય મંત્રાલયોએ છેલ્લા બે વર્ષમાં તેમના કામની વિગતો રજૂ કરી હતી. વડા પ્રધાન મોદીએ મંત્રીઓ અને ટોચના અમલદારોને સ્પષ્ટપણે કહ્યું કે સરકારનું કામ લોકોના જીવનમાં બિનજરૂરી રીતે દખલ કરવાનું નથી, પરંતુ જરૂર પડ્યે તેમને મદદ કરવાનું છે. જીવનની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરતા તેમણે કહ્યું કે દરેક નવા સુધારા અને પહેલનો અંતિમ ધ્યેય સામાન્ય નાગરિક માટે જીવન સરળ બનાવવાનો હોવો જોઈએ. પીએમએ મંત્રીઓને યાદ અપાવ્યું કે વિકસિત ભારત 2047 માત્ર એક રાજકીય સૂત્ર નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News