દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (10 મે) ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે રાત્રે અંદાજે 7:30 કલાકે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે. પીએમના આગમનને વધાવવા માટે 'છોટી કાશી' ગણાતું જામનગર શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સુધીના માર્ગો પર ભવ્ય સજાવટ કરવામાં આવી છે અને સર્કિટ હાઉસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કિલ્લામાં ફેરવી દેવાયું છે.
જામનગરમાં ભવ્ય લોક ડાયરો અને સાંસ્કૃતિક રાત
પીએમ મોદીના સ્વાગત માટે જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે એક વિશાળ જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો પીરસવામાં આવશે. સૌરાષ્ટ્રની પરંપરાને જીવંત કરતા હુડો રાસ, સિદી ધમાલ અને મણિયારો રાસ જેવા લોકનૃત્યો રજૂ કરાશે. વિવિધ સર્કલો પર પીએમના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે.
સોમનાથ વિરાસતના 75 વર્ષ: 'સુવર્ણ યુગ'ની ઉજવણી
જામનગરમાં રાત્રિ રોકાણ કર્યા બાદ, 11 મેની સવારે વડાપ્રધાન સોમનાથ મંદિર પહોંચશે. સોમનાથ મંદિરના આધુનિકરણ અને જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થવા બદલ ત્યાં 'સોમનાથ અમૃત મહોત્સવ' ઉજવવામાં આવી રહ્યો છે. પીએમ મોદી અહીં વિશેષ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ વિધિમાં સહભાગી થશે. આ પ્રસંગે તેઓ એક સ્મૃતિ સિક્કો અને ટપાલ ટિકિટ પણ લોન્ચ કરશે. ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેમના નેતૃત્વમાં સોમનાથમાં થયેલા 'સુવર્ણ યુગ'ના વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કરશે.
વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ
સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી વડોદરાની મુલાકાત લેશે. વડોદરા ખાતે તેઓ આધુનિક સુવિધાઓથી સજ્જ 'સરદાર ધામ' (છાત્રાલય સંકુલ) નું લોકાર્પણ કરશે. આ સંકુલમાં 1,000 કુમારો અને 1,000 કન્યાઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા, ઈ-લાઈબ્રેરી અને હાઈટેક ઓડિટોરિયમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. વડોદરામાં પણ વડાપ્રધાનના સ્વાગત માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.