છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. અતિભારે વરસાદના લીધે અનેક વિસ્તારો જળમગ્ન થતાં લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ યોગ્ય વાવણીલાયક વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને ડો. ચિરાગ શાહના જણાવ્યા મુજબ, હાલ ગુજરાત અને તેની આસપાસ હવામાનની એકસાથે ૫ જેટલી મજબૂત સિસ્ટમ્સ સક્રિય થઈ છે, જેના કારણે આગામી ૭ દિવસ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક અને ભારે વરસાદી માહોલ જળવાઈ રહેશે.

હવામાનની 5 સિસ્ટમ એકસાથે સક્રિય
નિષ્ણાતોના વિશ્લેષણ મુજબ, ગુજરાત પર હાલ એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જેમાં લો-પ્રેશર સિસ્ટમ, મુખ્ય મોન્સૂન ટ્રફ, અન્ય એક સક્રિય ટ્રફલાઈન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના પર બનેલું એક વધારાનું ટ્રફ સામેલ છે. આ તમામ પરિબળો એકસાથે સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આશંકા
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના અંદાજ મુજબ, આગામી ૩ દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ માટે અત્યંત મહત્વના રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં આ દિવસો દરમિયાન મુશળધારથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના પૂર્વ ભાગોની વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદનો એક મજબૂત રાઉન્ડ આવી શકે છે, જ્યારે બોટાદ, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મધ્યમથી સારો વરસાદ જોવા મળશે.

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવણીનો સાર્વત્રિક રાઉન્ડ
જે વિસ્તારોમાં હજુ સુધી ચોમાસાનો પૂરતો લાભ નથી મળ્યો તેવા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. વાતાવરણમાં શિયર ઝોન અને લો-પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનતાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા પશ્ચિમ સૌરાષ્ટ્રના ૯૦ ટકા વિસ્તારો—જ્યાં વાવણી બાકી છે, ત્યાં ૨૪-૨૫ જુલાઈથી ૩૧ જુલાઈ દરમિયાન ૨.૫ થી ૪ ઈંચ જેટલો ઉત્તમ વાવણીલાયક વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છના રાપર સહિત તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ નોંધાશે. ૩૧ જુલાઈ સુધીમાં રાજ્યનો એક પણ તાલુકો કોરો નહીં રહે અને તમામ સ્થળે મેઘમહેર થતાં આ રાઉન્ડ સર્વગ્રાહી સાબિત થશે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો
બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી જળબંબાકારનો સામનો કરી રહેલા દક્ષિણ ગુજરાતમાં ૨૪ જુલાઈથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધાશે. આમ છતાં, સુરત, વલસાડ, નવસારી અને તાપી જેવા જિલ્લાઓમાં આગામી ૨૪ કલાક દરમિયાન હજુ પણ ભારે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
