રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ પાછળ આવેલી ઋષિકેશ સોસાયટીમાં રાત્રિના હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ અમદાવાદના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે આવેલી કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરનાર મહિલા ચૌલાબેન ત્રીભોવનદાસ પટેલ(ઉ.વ ૫૨) ની રાત્રીના તેની પાછળની શેરીમાં જ રહેતા કાનજી ભીમજીભાઇ વાંજા(ઉ.વ ૩૪) નામના નામના શખસે છરીના ઘા ઝીંકી ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. હુમલામાં ખુદ આરોપી પણ ઘવાયો હતો.
યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તેમજ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા પણ બનાવ સ્થળે દોડી ગયા હતા. હત્યા કરનાર આ શખસને પોલીસે સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મહિલાની પાછળની શેરીમાં જ રહેતા આ શખસ રાત્રીના મહિલાના મકાને આવ્યો હતો. બાદમાં તેણે મહિલા સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી પરંતુ મહિલાએ પ્રતિકાર કરી છરી કરતા તેની હત્યા કરી નાખી હોવાનુ જણાઇ રહ્યું છે. બનાવ અંગે મહિલાના પરિવારજનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ અમદાવાદના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલની પાછળ ઋષિકેશ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા ચૌલાબેન ત્રિભુવનદાસ પટેલ (ઉ.વ 52) નામના મહિલાના રૂમમાં ગઈકાલ રાત્રિના તેમના ઘરની પાછળ રહેતો કાનજી ભીમજી વાંજા ઘૂસી આવ્યો હતો અને તેણે બળજબરી કરવાની કોશિશ કરતા મહિલાએ પ્રતિકાર કર્યો હતો.બાદમાં તેણે છરી વડે હુમલો કર્યો હતો જેમાં મહિલા ગંભીર રીતે ઘવાયા હતા 108 નો સ્ટાફે અહીં આવી જોઈ તપાસી આ મહિલાને મૃત જાહેર કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એસ. પટેલ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
ચૌલાબેન મૂળ અમદાવાદના વતની
હત્યાના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ચૌલાબેન મૂળ અમદાવાદના વતની હોય અને અગાઉ તેઓ અમદાવાદમાં જ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા. છેલ્લા ચારેક માસથી તેમની બદલી રાજકોટની કેન્સર હોસ્પિટલમાં થઈ હતી. તેઓ અહીં નોકરી કરતા હતા અને ઋષિકેશ સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું. જેમાં ઉપરના રૂમમાં તે રહેતા હતા જયારે નીચેના રૂમમાં મકાનમાલિક દંપતી રહે છે.
મકાન માલિક દંપતીને જોર જોરથી અવાજ આવતા તેઓ તુરંત બહાર નીકળ્યા
રાત્રિના મકાનમાં નીચેના ભાગે રહેતા મકાન માલિક દંપતીને જોર જોરથી અવાજ આવતા તેઓ તુરંત બહાર નીકળ્યા હતા. દરમિયાન ચૌલાબેનને લોહલુહાણ હાલતમાં અને તેની સાથે અહીં આરોપી કાનજી ભીમજી વાઘેલા પણ હાજર હોય તેને પૂછતા તું કોણ છે તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો તે પણ ઇજાગ્રસ્ત હાલતમાં હોય બાદમાં તે અહીંથી નાસી ગયો હતો. ત્યારબાદ મહિલાને મકાનમાલિકે પૂછતા તેણે કહ્યું હતું કે આ શખસે તેના પર હુમલો કર્યો હતો અને તેનું ગળું દબાવ્યું હતું. એટલું કહી તેઓ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ 108 ને જાણ કરવામાં આવતા ઇએમટીએ જોઈ તપાસી મહિલાને મૃત જાહેર કર્યા હતા.
કાનજી વાંજા મૂળ કોડીનારનો વતની
મહિલાની હત્યા કરનાર પાછળની શેરીમાં રહેતો કાનજી વાંજા મૂળ કોડીનારનો વતની છે તે અહીં પત્ની અને બે સંતાનો સાથે રહે છે અને કાલાવડ રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેનો પરિવાર પણ અહીં છેલ્લા એકાદ વર્ષથી રહેવા આવ્યો છે. રાત્રિના કાનજી અહીં મહિલાના ઘરે આવ્યો હતો બાદમાં બંને વચ્ચે જે કંઈ પણ બન્યું હોય કાનજી મહિલા પર હુમલો કરી દેતા મહિલાએ પ્રતિકાર કરતા કાનજીને પગમાં તથા હાથમાં છરીથી ઈજા પહોંચી હતી. ત્યારબાદ કાનજીએ મહિલાને છરીના ઘા ઝીંકી ગળું દબાવી દીધું હતું. બનાવને લઈ પોલીસે આરોપી કાનજી વાંજાને સંકજામાં લઇ પુછતાછ શરૂ કરી છે. બીજી તરફ આ અંગે અમદાવાદ સ્થિત મહિલાના પરિવારજનો પણ અહીં આવી પહોંચ્યા હતા. મહિલા એક ભાઈ એક બહેનના પરિવારમાં નાના હતા અને અપરિણીત હતા. હાલ આ મામલે મહિલાના પરિવારજનની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.
હત્યા બાદ બાથરૂમમાં ઘૂસી ગયેલા કાનજીને પાડોશીએ પૂરી દીધો
મહિલા લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર નીકળતા અને બૂમાબૂમ કરતા અહીં પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. દરમિયાન કાનજી અહીંથી નાસી પોતાના ઘરે જઈ બાથરૂમમાં પુરાઈ ગયો હતો. જે અંગેની જાણ પાડોશીઓને થતા પોલીસને જાણ કરી બહારથી બાથરૂમમાં દરવાજો બંધ કરી દીધો હતો.
આગામી તા.૧ ના મહિલાની અમદાવાદ બદલી થવાની હતી
મૂળ અમદાવાદના વતની ચૌલાબેન નામના મહિલાની અહીં ઋષિકેશ સોસાયટીમાં તેમના ઘરની પાછળ જ રહેતા શખસે હત્યા કરી નાખી હતી. આ મહિલા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા અને ચારેક માસથી તેમની અહીં રાજકોટ બદલી થઈ હતી. પરંતુ પરિવારજનોએ અમદાવાદ રહેવાની વાત કરતા તેમણે બદલી અંગેની વાત કરી હતી અને આગામી તા. 1 ના તેમની અમદાવાદ બદલી થવાની હતી.
કાનજીએ કહ્યું મહિલાએ તેને બોલાવ્યો હતો
રાત્રિના ઋષિકેશ સોસાયટીમાં મહિલાની હત્યા કરનાર કાનજી અહીં મહિલાના ઘરે હતો ત્યારે મકાન માલિક સુરેશભાઈ ગોધાણીએ તું અહીં શું કરે છે? તેમ કહેતા તેણે કહ્યું હતું કે, મહિલાએ તેને અહીં બોલાવ્યો હતો જોકે આરોપીની વાતમાં સત્ય છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આરોપીની પત્નીએ કહ્યું પતિ રાત્રે કામ જવાનું કહી નિકળ્યા’તા
મૂળ કોડીનાર પંથકનો વતની અને છેલ્લા એક વર્ષથી રાજકોટમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરનાર કાનજી વાંજાએ રાત્રીના તેના મકાનની પાછળ રહેતી મહિલાની હત્યા નિપજાવી હતી.આ અંગે આરોપીની પત્નીએ સંગીતાબેને જણાવ્યું હતું કે,રાત્રીના તે ઘરેથી કામ પર જવાનું કહી નિકળ્યા હતાં.તેમનું વાહન ખરાબ હોય તેઓ ચાલીને ઘરેથી ૧૧ વાગ્યા આસપાસ નિકળ્યા હતાં. આરોપીના પત્ની કાલાવડ રોડ પર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSE ધોરણ-૧૦નું ૯૩.૬૦ ટકા પરિણામ, ગત વર્ષ કરતાં આ વર્ષે 0.06 ટકા રિઝલ્ટ વધુ આવ્યું
May 13, 2025 03:44 PMપોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
May 13, 2025 03:27 PMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા ઈ રજુઆત
May 13, 2025 03:26 PMમાતાની મૈયતમાં જતા પુત્રનો જનાજો નીકળતા અરેરાટી
May 13, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech