રાજકોટમાં મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં ગોવિંદરત્ન ગ્રીન સિટી પાસે રૂમમાં રહેતી અને ગીર સોમનાથ પંથકની યુવતીએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીએ રાત્રીના મંગેતર સાથે ફોનમાં વાત કર્યા બાદ અચાનક આ પગલું ભરી લીધું હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવતીએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તે જાણી શકાયું ન હોય પોલીસે યુવતીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં નવા દોઢસો ફૂટ રીંગરોડ પાસે મટુકી રેસ્ટોરન્ટ નજીક ગોવિંદરત્ન ગ્રીન સિટી ૪ માં રૂમમાં રહેતી મિતલ મનુભાઇ બામણિયા(ઉ.વ. ૨૨) નામની યુવતીએ રાત્રીના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ થતા ૧૦૮ ની અહીં પહોંચી જોઇ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી. બનાવના પગલે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. કિશનભાઇ અજાગીયાએ અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુબજ, યુવતી મૂળ ગીર સોમનાથ પંથકની વતની છે તે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહી હોસ્પિટલમાં નર્સ તરીકે તથા શોરૂમમાં પણ નોકરી કરતી હતી. યુવતની એક ભાઇ બે બહેનના પરિવારમાં મોટી હતી. યુવતીએ ગઇકાલે રાત્રીના રૂમે આ પગલું ભરી લીધા બાદ રૂમમાં તેની સાથે રહેતી અન્ય નર્સ યુવતી અહીં આવી જોતા મિતલે ફાંસો ખાધો હોય તેણે તુરંત ૧૦૮ ને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવી વાત જાણવા મળી હતી કે, યુવતીની સગાઇ થઇ ગઇ હતી. તેણે ગઇકાલે મંગેતર સાથે ફોનમાં વાત કર્યા બાદ આ પગલું ભરી લીધું હતું. યુવતીએ કયાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું ન હોય જેથી પોલીસે યુવતીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ બનાવ અંગે યુવતીના પરિવારજનોને જાણ કરી દેવાતા તેઓ ગીર સોમનાથથી રાજકોટ દોડી આવ્યા હતાં. દીકરીએ ભરેલા આ અત્યાંતિક પગલાંથી પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application