ગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ

  • March 18, 2025 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MOU સાઇન કર્યા હતા.  નયારા એનર્જીએ વન વિભાગ સાથે જે MOU કર્યા છે તે અનુસાર જામનગર જિલ્લાના ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાંકીય સહયોગ આપશે. ત્રણ વર્ષ માટે કુલ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની (ભીનાશ વાળી જમીન) પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો, સ્થાનિક જૈવ વિવિધતામાં સુધારો અને વેટલેન્ડસ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે. 


એટલું જ નહીં, અભ્યારણ્યના કાર્યક્ષેત્ર એરિયામાં સ્થાનિક સમુદાયોને લાભદાયક એવા જળભૂમિના ઇકોલોજીકલ અને હાઇડ્રોલોજીકલ સ્વાસ્થ્યને સુધારવામાં અને દબાણયુક્ત જૈવવિવિધતા ઘટાડવામાં મદદ મળશે.  આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરીઝમને પ્રોત્સાહન, વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગને પણ આવરી લેવામાં આવ્યા છે.


ખિજડિયા પક્ષી અભયારણ્ય (KRS) અને તેની આસપાસના ભૌગોલિક વિસ્તારોની વૈવિધ્યતાને કારણે આ રામસર (આંતરરાષ્ટ્રીય મહત્વના જળપ્લાવિત વિસ્તાર) સ્થળ પર વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. ૧૮૫ પ્રકારના છોડ, ૨૩ પ્રકારના પતંગિયા, ૨૧ પ્રકાર ડ્રેગનફ્લાય પ્રકારના સરિસૃપ, ૯ પ્રકારની માાછલીઓ અને જીંગાની પ્રજાતિઓ, ૩૨૧ જાતના પક્ષીઓ (જેમાં ૧૨૫ પાણીના અને ૯ સ્તનધારી પ્રજાતિઓનો સમાવેશ થાય છે). ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેયરની જોખમી પ્રજાતિઓની યાદી રેડ લિસ્ટ મુજબના ૨૯  ઉલ્લેખનીય મહત્ત્વ ધરાવતી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. 


ખિજડિયાનું સ્થાનિક જળવિજ્ઞાનના નિયમનમાં ખિજડીયાની ભૂમિકા તેમજ સ્થાનિક અર્થતંત્ર અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવામાં મોટું યોગદાન રહેલું છે. વરસાદી અને વહેતા પાણીથી ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં આવે છે આનાથી જમીનમાં ખારાશ પ્રવેશ અટકે છે. આ ખિજડિયા પક્ષી અભયારણ્ય પાંચ ગામો (ઇકો સેન્સિટિવ ઝોન)થી ઘેરાયેલું છે, જેમાં, ખીજડિયા, ધુવાવ, જાંબુડા, સચાણા અને વિભાપર ૧ થી ૩ કિલોમીટરના અંતરે આવેલા ગમોનો સમાવેશ થાય છે.


ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપનના આ પ્રોજેક્ટમાં વન વિભાગ અમલીકરણ એજન્સી તથા નયારા એનર્જી નાણાંકીય અને અન્ય સંસાધન સહયોગી એજન્સી તરીકે કાર્ય કરશે તેમ પણ MOUમાં જણાવવામાં આવ્યું છે. 


શિક્ષણ વિભાગ સાથે MOU
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નયારા એનર્જીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કરેલા સમજૂતી કરારને પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકા ની ૧૩૦૦ સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં વાંચન પ્રવૃત્તિને વેગ મળશે. 


આ હેતુસર નયારા એનર્જી આગામી શૈક્ષણિક વર્ષ એપ્રિલ-૨૦૨૫થી ત્રણ વર્ષ એટલે કે માર્ચ-૨૦૨૮ સુધી આ પ્રોજેક્ટ હાથ ધરવાની છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાની સરકારી શાળાઓમાં શાળા દીઠ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ૧૫૦થી વધુ પુસ્તકો પૂરા પાડવામાં આવશે. ૧૯૦૦ આંગણવાડીઓમાં બાળકો સમજી શકે તેવી ભાષામાં ૯૦ પુસ્તકો મળશે જે બાળકોમાં પ્રારંભિક સાક્ષરતા વિકસાવશે. કુલ મળીને આશરે ૩,૭૫,૦૦૦ પુસ્તકોના વિતરણ દ્વારા વાંચન અને નવી શીખ માટે એક મજબૂત આધારનું નિર્માણ આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી થશે. આ ઉપરાંત, શિક્ષકો અને ગ્રંથપાલોને ગ્રંથાલય વ્યવસ્થાપન અને વાંચન સંલગ્નતા અંગે તાલીમ પણ આપવામાં આવશે. તેના પરિણામે સંસાધનોના અસરકારક ઉપયોગ અને ટકાઉ અસર સુનિશ્ચિત થશે.


એટલું જ નહીં, ડિજિટલ વાંચનની ઉપલબ્ધતા અને ડિજિટલ માળખાને મજબૂત બનાવવા આ પહેલ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે અને હાલના ડિજિટલ માળખાનો ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અથવા ટેબલેટ થી સર્ચ શાળાઓના અભ્યાસક્રમમાં ડિજિટલ વાંચન સત્રોને એકીકૃત કરશે. 


સાથો સાથ શિક્ષકોને શિક્ષણમાં ઓપન-સોર્સ ડિજિટલ લાઈબ્રેરીઓનો ઉપયોગ કરવા તેમજ ડિજિટલ વાંચન અને વર્ગખંડમાં એકીકૃત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગેની તાલીમ પણ આપવામાં આવશે. 



આ સમગ્ર પહેલ ગુજરાતના મજબૂત વાંચન સંસ્કૃતિના નિર્માણના પ્રયાસોને વધુ ગતિ આપશે, વિવિધ શિક્ષણના સ્તરોના બાળકો માટે ગુણવત્તા યુક્ત બહુભાષી વાંચન સામગ્રીનો વિસ્તાર, આંગણવાડીના બાળકોમાં બાળપણથી જ સાક્ષરતાને મજબૂત બનાવવી, ભૌતિક અને ડિજિટલ સાક્ષરતા સંસાધનો પર તાલીમ દ્વારા શિક્ષકોને સશક્ત બનાવવા, વાંચનમાં સુલભતા અને સમાવેશ શક્યતા વધારવા માટે ટેકનોલોજી અને ઓપન સોર્સ પ્લેટફોર્મનો ઉપયોગ જેવી સર્વગ્રાહી બાબતોને આ MOUથી નવી દિશા મળશે. 


આ MOU સાઇનિંગ વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, શિક્ષણ અગ્ર સચિવ મુકેશકુમાર, વન પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમાર, અગ્રમુખ્ય વન સંરક્ષક જયપાલ સિંઘ, સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રંજીથકુમાર અને નયારા એનર્જીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application