જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને NCC કેડેટની દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરીની પરેડ માટે પસંદગી કરાઈ
જામનગર તા.૦૩, આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીના ઐતિહાસિક કર્તવ્ય પથ પર યોજાનાર પરેડમાં જામનગરની આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને NCC કેડેટ બાંભવા સોમ વિરમભાઈની પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ તેમણે સમગ્ર જામનગર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
આઈ.ટી.આઈ. જામનગરના મિકેનિક મોટર વેહિકલ ટ્રેડમાં અભ્યાસ કરતા અને ૨૭-ગુજરાત બટાલિયન NCC જામનગરના કેડેટ એવા બાંભવા સોમની પસંદગી તેમની સખત મહેનત અને શિસ્તને આધારે થઈ છે. આ ગૌરવવંતી પરેડમાં ભાગ લેવાની સાથે-સાથે તેમને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન દ્વારા આયોજિત ખાસ ભોજન સમારંભ માટે પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જે એક કેડેટ માટે સર્વોચ્ચ સન્માન સમાન છે.
કેડેટ બાંભવા સોમને આ સ્તર સુધી પહોંચાડવા માટે ૨૭-ગુજરાત બટાલિયનના NCC પી.આઈ. સ્ટાફ, સિનિયર કેડેટ્સ તથા લેફ્ટનન્ટ રમેશ જોષી દ્વારા અત્યંત સઘન તાલીમ આપવામાં આવી હતી. આ સિદ્ધિ બદલ સંસ્થાના ટ્રેડ ઇન્સ્ટ્રકટર પવન ગઢવી, પ્રિન્સિપાલ આર. એસ. ત્રિવેદી, પ્રિન્સિપાલ જે. આર. શાહ તેમજ ૨૭-ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ શોભા નાયર દ્વારા કેડેટ સોમને ઉષ્માભર્યા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.