i-Khedut 2.0 પોર્ટલ પર ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે
જામનગર તા.૦૨ ફેબ્રુઆરી, જામનગર જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાય પૂરી પાડતી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ના જાન્યુઆરીથી માર્ચના તબક્કા માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે આ સહાય મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભ લેવા ઈચ્છતી સંસ્થાઓએ આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ (ikhedut 2.0) પર તા.૧૫/૦૨/૨૦૨૬ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. યોજનાના ઠરાવ અને અન્ય શરતોની વિગતો વેબસાઈટ http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવ્યા અનુસાર, લાભાર્થી સંસ્થાએ આઈ-ખેડૂત પોર્ટલ પર લોગિન કરી ઓનલાઈન અરજી નોંધણી કર્યા બાદ તેને ફરજિયાત સબમિટ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પોર્ટલ પર ડ્રાફ્ટ કે પેન્ડિંગ રાખેલ અધૂરી અરજીઓ માન્ય ગણાશે નહીં. જે સંસ્થા જે-તે તબક્કા માટે ઓનલાઇન અરજી નહીં કરે, તેમને તે સમયગાળાની સહાય મળવાપાત્ર રહેશે નહીં તેની ખાસ નોંધ લેવી.
વધુમાં, ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ સાથે જરૂરી તમામ સાધનિક કાગળો જોડીને અરજી કર્યાના ૨૧ દિવસની અંદર નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. જો નિયત ૨૧ દિવસમાં સાધનિક કાગળો કચેરી ખાતે જમા કરવામાં નહીં આવે તો ઓનલાઇન અરજી રદ ગણવામાં આવશે.