ગુજરાતના મોરબી જિલ્લાના યુવાન વિદ્યાર્થીનો ફરી વીડિયો સામે આવ્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેને ખોટા ડ્રગ કેસમાં ફસાવીને બળજબરીથી રશિયન સેનામાં ભરતી કરવામાં આવી હતી. યુક્રેનમાં તેની ધરપકડ બાદ બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં, તેણે ભારત સરકારને મદદ માટે અપીલ કરી હતી, પરંતુ રશિયા જતા યુવાનોને ખૂબ જ સાવધ રહેવાની પણ વિનંતી કરી હતી.
વિદ્યાર્થીનું નામ સાહિલ મોહમ્મદ હુસૈન છે, જે ગુજરાતના મોરબીનો રહેવાસી છે. સાહિલ 2024માં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે રશિયા ગયો હતો. અભ્યાસ દરમિયાન, તે એક કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઇમ પણ કામ કરતો હતો. આ સમય દરમિયાન, તેના મતે, રશિયન પોલીસે તેને ખોટા ડ્રગ કેસમાં ફસાવ્યો હતો.
સાહિલનો આરોપ છે કે રશિયન પોલીસ અને જેલ અધિકારીઓએ તેને ઓફર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો તે રશિયન સેનામાં જોડાશે તો તેની સામેનો ડ્રગ કેસ છોડી દેવામાં આવશે. તેણે મજબૂરીથી આ ઓફર સ્વીકારી હતી. તેમનો દાવો છે કે માત્ર 15 દિવસની તાલીમ પછી, તેમને સીધા યુદ્ધ મોરચા પર મોકલવામાં આવ્યા હતા.
વીડિયોમાં, સાહિલે જણાવ્યું હતું કે યુક્રેનિયન ફ્રન્ટલાઈન પર પહોંચતાની સાથે જ તેમણે તુરંત જ યુક્રેનિયન સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ યુક્રેનિયન દળોએ તેમનો વીડિયો રેકોર્ડ કર્યો અને ભારતમાં આ મુદ્દા વિશે જાગૃતિ લાવવા માટે તેની માતાને મોકલ્યો હતો.
યુક્રેનમાં કેદ સાહિલે એક વીડિયો સંદેશમાં કહ્યું, "હું ખૂબ જ નિરાશ છું. મને ખબર નથી કે આગળ શું થશે. પરંતુ હું રશિયા આવવા માંગતા તમામ યુવાનોને ખૂબ કાળજી રાખવા અપીલ કરું છું. અહીં ઘણા લોકો તેમને ખોટા ડ્રગ કેસમાં ફસાવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને અપીલ કરતા કહ્યું, રાષ્ટ્રપતિ પુતિન તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. હું સરકારને પુતિન સાથે વાત કરવા અને મારા સુરક્ષિત ઘરે પાછા ફરવાની ખાતરી કરવા વિનંતી કરું છું.
સાહિલની માતાએ તેમના પુત્રની સલામત વાપસી માટે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસની આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં થવાની છે. પરિવારનો આરોપ છે કે સાહિલને છેતરપિંડી અને દબાણ હેઠળ સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો.
બીજા એક વીડિયોમાં, સાહિલે દાવો કર્યો હતો કે રશિયામાં ઓછામાં ઓછા 700 લોકોને ખોટા ડ્રગના આરોપોમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને તેમને સેનામાં જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, મેં કોઈ ગુનો કર્યો નથી. મેં આ નિર્ણય ફક્ત કેસમાંથી છૂટકારો મેળવવા માટે લીધો છે.
પાંચ ડિસેમ્બરના રોજ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર રશિયન સેનામાં જોડાનારા ભારતીય નાગરિકોની મુક્તિ માટે સક્રિયપણે પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે અને ભારતીય નાગરિકોની વહેલી મુક્તિ માટે સતત ચર્ચાઓ ચાલી રહી છે.
વિદેશ સચિવે ભારતીય નાગરિકોને સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે તેઓ કોઈપણ સંજોગોમાં રશિયન સેનામાં જોડાવાની ઓફર ટાળે. તેમણે કહ્યું, અમે ઘણા એવા કિસ્સાઓ જોઈ રહ્યા છીએ જ્યાં લોકો ત્યાં ફસાયેલા છે અને તેમને ભારત પાછા લાવવાની અપીલ કરવામાં આવી રહી છે.