કુવાડવા રોડ પર ત્રિ-મંદિર પાસે બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા તબીબ છાત્રનું મોત
કુવાડવા રોડ પર ત્રિ-મંદિર પાસે બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા તબીબ છાત્રનું મોત
July 01, 2026 03:39 PM
રાજકોટ-કુવાડવા રોડ ત્રિ-મંદિર મંદિર પાસે આજે સવારે બંધ ટ્રક પાછળ બાઈક ધડાકાભેર અથડાતા બાઈક ચાલક તબીબ છાત્રનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. બનાવના પગલે સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે ફરજ બજાવતા તેના ભાઈ સહિતના તબીબ છાત્રો દોડી ગયા હતા. આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો.
બનાવની મળતી માહિતી મુજબ મૂળ કચ્છ પંથકનો વતની અને હાલ પીડીયુ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઇન્ટર્ન તબીબ ભાઈ સાથે રહી કુવાડવા રોડ પર આવેલી આર્યવીર હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતો નિખિલ દશરથભાઈ બ્રાહ્મણ (ઉં.વ. 20)નો આજે સવારે આઠેક વાગ્યે હોસ્ટેલના રૂમેથી કોલેજ જવા માટે પોતાની બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર કુવાડવાથી આગળ ત્રિ-મંદિર પાસે રોડ પર પાર્ક કરવામાં આવેલા બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા તાકીદે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સિવિલ હૉસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે નોકરી કરતો તેનોમોટો ભાઈ પાર્થ સહિતના તબીબ છાત્રો દોડી ગયા હતા. નાના ભાઈના નિષ્પ્રાણ દેહને જોઈ ગમગીની છવાઈ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. ઘટનાની જાણ યુવકના માતા પિતાને કરવામાં આવતા રાજકોટ દોડી આવ્યા હતા અને પુત્રના મૃતદેહને જોઈ આક્રંદ સર્જ્યો હતો.