ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યના ટાઉન પ્લાનિંગ અને મૂલ્યાંકન ખાતામાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા ૨૨ જૂન ૨૦૨૬ના રોજ એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને વર્ગ-૧ અને વર્ગ-૨ ના કુલ ૩૧ જેટલા નગર નિયોજક અધિકારીઓની બદલી અને બઢતી (પ્રમોશન)ના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ આંતરિક બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

૧૨ વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની જાહેર હિતમાં બદલી
સરકારની નવી સૂચના અનુસાર, નગર નિયોજક (વર્ગ-૧) અને જુનિયર નગર નિયોજક (વર્ગ-૨) સંવર્ગના ૧૨ અધિકારીઓની અલગ-અલગ જગ્યાઓ પર બદલી કરવામાં આવી છે.

૧૯ જુનિયર નગર નિયોજકોને વર્ગ-૧ માં પ્રમોશન
આ જ નોટિફિકેશન હેઠળ નગર આયોજન અને મૂલ્યાંકન ખાતામાં ફરજ બજાવતા ૧૯ જુનિયર નગર નિયોજક (વર્ગ-૨)ના અધિકારીઓને નગર નિયોજક (વર્ગ-૧) તરીકે બઢતી આપવામાં આવી છે. આ પ્રમોશન સાથે તેમનું પગાર ધોરણ લેવલ-૯ (રૂ.૫૩,૧૦૦ - રૂ.૧,૬૭,૮૦૦)માંથી વધારીને લેવલ-૧૧ (રૂ.૬૭,૭૦૦ - રૂ.૨,૦૮,૭૦૦) કરવામાં આવ્યું છે.

આ વહીવટી ફેરફારોથી રાજ્યના વિવિધ શહેરી વિકાસ સત્તામંડળો અને મહાનગરપાલિકાઓની નગર રચના કામગીરીને વધુ ગતિ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. વિભાગ દ્વારા આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાઓ પર ચાર્જ સંભાળવા માટે સૂચના આપવામાં આવી છે.