સરકારે ગેસ સિલિન્ડર બુક કરવાના નિયમોમાં ફેરફારનો દાવો કરતા મીડિયા રિપોર્ટ્સને ખોટા ગણાવીને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ ઉજ્જવલા યોજના (PMUY) ના ગ્રાહકો હવે 45 દિવસ પછી પોતાનો બીજો સિલિન્ડર બુક કરાવી શકશે, જ્યારે PMUYના ગ્રાહકો સિવાયના ગ્રાહકો 35 દિવસ પછી પોતાનો બીજો સિલિન્ડર બુક કરાવી શકશે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જૂના રિફિલ બુકિંગ નિયમો અમલમાં છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આનો અર્થ એ છે કે એક સિલિન્ડરની ડિલિવરી પછી બીજો સિલિન્ડર 25 દિવસ પછી બુક કરવામાં આવશે. સાથે જ કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે અમારી પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. દેશમાં કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. પેટ્રોલ પંપોને સપ્લાય કરતા ટર્મિનલો પર પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે
14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરો કરતાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરોના પુરવઠા પર વધુ દબાણ છે. 22 માર્ચે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વાણિજ્યિક LPG ક્વોટામાં 20% વધારાને મંજૂરી આપી હતી.
આ સાથે, કુલ ફાળવણી હવે વધીને 50૦% થઈ ગઈ છે. જોકે, વિતરકો કહે છે કે આ નિર્ણયની અસર જમીન પર અનુભવવામાં બે થી ત્રણ દિવસ લાગી શકે છે.