જૂનાગઢમાં ધોધમાર વરસાદથી ભવનાથમાં ઠેર-ઠેર પાણી, ભારતી આશ્રમ, ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ

  • September 27, 2024 11:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ધોધમાર વરસાદથી આભ ફાટ્યા સમાન સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થતાં ભવનાથમાં ઠેર- ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે.


વિગતવાર વાત કરીએ તો ગિરનાર પર્વત પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે દામોદર કુંડમાં ઘોડાપુરની સ્થિતિ, ગિરનારની સીડી પર પાણીના ધોધ જોવા મળી રહ્યા છે.


સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર્વત પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થતાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લાનાં દુબળી પ્લોટ વિસ્તારમાં તો લોકોનાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા ગયા છે. જ્યારે માંગનાથ વિસ્તારમાં પણ એવી જ સ્થિતિ છે. જુનાગઢમાં ભવનાથ વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારતી આશ્રમ પાસે વરસાદી પાણી ભરાઈ જતાં પાર્ક કરેલા કેટલાક વાહનો પાણીમાં તણાયા છે.


ગિરનાર જંગલ અને પર્વત પર 6 ઇંચ જેટલો વરસાદ

જૂનાગઢના ગિરનાર જંગલ અને પર્વત પર 6 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. ગિરનાર જંગલમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દામોદર કુંડમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા કલાકથી વરસાદ અવિરત પડી રહ્યો છે.



આજે શુક્રવારને 27મી સપ્ટેમ્બરના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં 149 તાલુકામાં એક મિલીમીટરથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના સાગબારામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ તો જૂનાગઢમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ખેડા, બનાસકાંઠા, બોટાદ, નર્મદા, સુરત, અમરેલી, તાપી, છોટા ઉદેપુર, ભરૂચ, પોરબંદર, ભાવનગર, ડાંગ, દાહોદ, નવસારી, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application