અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ વાટાઘાટોની શક્યતાઓને જોતા પાકિસ્તાની વહીવટીતંત્રએ ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દીધું છે. રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર બે અમેરિકી કાર્ગો વિમાનો ઉતર્યા હોવાના અહેવાલ છે, જે સામાન્ય રીતે VVIP મહેમાનોના આગમન પહેલા જરૂરી સુરક્ષા અને લોજિસ્ટિક્સ સામગ્રી લાવતા હોય છે. આ ઘટનાક્રમ બાદ ઈસ્લામાબાદમાં 'રેડ ઝોન' સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે.
શું ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આવશે?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ સંકેત આપ્યો હતો કે જો ઈરાન સાથેના કરાર પર હસ્તાક્ષર કરવાની અંતિમ સ્થિતિ બને, તો તેઓ પોતે ઈસ્લામાબાદ આવી શકે છે. હાઈ-લેવલ અમેરિકી ડેલિગેશનની સિક્યોરિટી ટીમ પહેલેથી જ ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. જોકે, હજુ સુધી અમેરિકા, ઈરાન કે પાકિસ્તાન તરફથી મંત્રણાની ચોક્કસ તારીખની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈસ્લામાબાદમાં 'મિની લોકડાઉન' જેવો માહોલ
વિદેશી મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદ પોલીસ અને રાવલપિંડી જિલ્લા પ્રશાસને અનેક કડક પગલાં લીધા છે. ઈસ્લામાબાદનો રેડ ઝોન અને એક્સટેન્ડેડ રેડ ઝોન સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ઈસ્લામાબાદ અને રાવલપિંડી વચ્ચે ચાલતી તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ પર આગામી આદેશ સુધી રોક લગાવી દેવામાં આવી છે. જોકે, ખાનગી વાહનોને મર્યાદિત શરતો સાથે છૂટ આપવામાં આવી છે.
હોટલો ખાલી કરાવાઈ
સુરક્ષાના ભાગરૂપે શહેરની મોટી હોટલોને ખાલી કરાવવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારોમાં 10 દિવસ સુધી કડક પ્રતિબંધો લાગુ રહેવાની શક્યતા છે.
શાંતિ મંત્રણાનો ઇતિહાસ
આ અગાઉ 12 એપ્રિલે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ શાંતિ મંત્રણા માટે ઈસ્લામાબાદ આવ્યા હતા. હવે જ્યારે ફરીથી મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે અને અમેરિકી એરફોર્સના વિમાનોની અવરજવર વધી છે, ત્યારે માનવામાં આવે છે કે આ વખતે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. અમેરિકાથી પાકિસ્તાન પહોંચવામાં આશરે 17 થી 18 કલાકનો સમય લાગે છે, તેથી આગામી 24 થી 48 કલાક આંતરરાષ્ટ્રીય રાજકારણ માટે ખૂબ જ મહત્વના છે.
આ સંભવિત બેઠકને કારણે ઈસ્લામાબાદના સ્થાનિક રહીશોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ મંત્રણા જો સફળ રહેશે તો પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વિખેરાઈ શકે છે.