વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ઈંધણ બચાવવા, પ્રદૂષણ ઘટાડવા અને જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા માટે કરવામાં આવેલી ખાસ અપીલ બાદ ગુજરાતનું વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. સરકારના આદેશ અનુસાર મંત્રીઓ, ઉચ્ચ સચિવો અને વરિષ્ઠ અધિકારીઓને સત્તાવાર પ્રવાસ કે રોજિંદા પરિવહન માટે કાર પુલિંગ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે કડક તાકિદ કરવામાં આવી છે. આ નવતર પહેલના ભાગરૂપે આજે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે પોતે એક સામાન્ય નાગરિકની જેમ મેટ્રો ટ્રેનમાં સવારી કરીને વહીવટી તંત્ર અને પ્રજા સમક્ષ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓએ મેટ્રોમાં મુસાફરી દરમિયાન મુસાફરો પાસેથી સુરક્ષા અને સલામતિના સૂચનો પણ માંગ્યા હતા.

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે આજે સવારે અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સ્થિત પોલીસ ભવન સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ રૂટ પર પ્રવાસ ખેડવાની સાથે-સાથે તેમણે સમગ્ર મેટ્રો લાઇન અને સ્ટેશનો પર તૈનાત સુરક્ષા વ્યવસ્થાની ખૂબ જ બારીકાઈથી સઘન સમીક્ષા કરી હતી. સામાન્ય રીતે કડક પોલીસ પ્રોટોકોલ અને ભારે સુરક્ષા વચ્ચે ફરતા રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારીને પોતાની સાથે મેટ્રો કોચમાં મુસાફરી કરતા જોઈને ટ્રેનમાં સવાર અન્ય સહ-મુસાફરો પણ એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પોતાની આ પ્રાયોગિક મુસાફરી દરમિયાન ડીજીપીએ માત્ર પ્રવાસ કરવા પૂરતું સીમિત ન રહેતા, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સામાન્ય લોકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે લોકો સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક વાતચીત કરીને મેટ્રો પ્રવાસ દરમિયાનના તેમના રોજિંદા અનુભવો વિશે પૃચ્છા કરી હતી. ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ અને વરિષ્ઠ નાગરિકોની સલામતીને લઈને ડૉ. રાવે વિશેષ ચર્ચા કરી હતી. તેમણે જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા અને સલામતીનું સ્તર વધુ મજબૂત તથા સચોટ બનાવવા માટે લોકો પાસેથી સીધા જ સૂચનો માંગ્યા હતા.

મેટ્રો પ્રવાસના અંતે પોલીસ વડાએ કોટેશ્વર મેટ્રો સ્ટેશનની ખાસ મુલાકાત લીધી હતી. તેમણે સ્ટેશન પરિસરમાં સુરક્ષા ફરજ પર તૈનાત પોલીસ જવાનો અને સિક્યોરિટી ગાર્ડ્સ સાથે રૂબરૂ મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ડૉ. રાવે કોટેશ્વર મેટ્રો સ્ટેશન પર કાર્યરત હાઈટેક સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમની મોનિટરિંગ વ્યવસ્થાની જાતે તકનીકી ચકાસણી કરી હતી. તેમણે ફરજ પરના પોલીસ કર્મચારીઓને મુસાફરોની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રાખવા અને શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવા માટે જરૂરી કડક સૂચનાઓ આપી હતી.