શહેરના અંડરબ્રિજ પાણીથી ભરાયા, મુસાફરો ભરેલી એસટી બસ પાણીમાં ગરકાવ: તમામનો બચાવ, પ્રિ–મોન્સૂન કામગીરીની પોલ ખુલ
અસહ્ય ઉકળાટ અને બફારા બાદ, બપોર પછી અચાનક જ પવનના સુસવાટા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ હતી. પરંતુ, આ તોફાની એન્ટ્રીની સાથે જ ગોંડલ નગરપાલિકાની પ્રિ–મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. માત્ર બે કલાકમાં પડેલા અઢી ઈંચ વરસાદે આખા શહેરને પાણી–પાણી કરી દીધું છે.
ઉમવાળા અંડરબ્રિજ નીચે ગોઝારા દ્રશ્યો સર્જાયા હતા. અહીં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જૂનાગઢ–દાહોદ ટની એસ.ટી. બસ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ બસમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આશરે ૩૦ થી ૩૫ જેટલા મુસાફરો સવાર હતા, જેમના જીવ અધ્ધર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, કારોબારી ચેરમેન રાજભા જાડેજા અને સલીમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
નગરપાલિકાના ફાયર ફાઇટરોની ટીમ અને જે.સી.બી મશીનની મદદથી ભારે જહેમત બાદ એસ.ટી. બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. રાહતની વાત એ છે કે બસમાં સવાર તમામ મુસાફરોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે.
ખોડિયાર નગર રેલ્વે અન્ડરબ્રિજના નાલામાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બધં થયો હતો. જેતપુર રોડ પર મોહન પાર્કમાં પાણી ભરાતા સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા ગુંદાળા શેરીમાં વરસાદિ પાણી–પાણી થયા હતા. ભારે પવનના કારણે ખટારા સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ સહિતના અનેક સ્થળે વૃક્ષો જમીનદોસ્ત થયા હતા.
બીજી તરફ વાવાઝોડા જેવા પવનને કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાહી થયા છે. ગુંદાળા ચોકડીના ઓવરબ્રિજ પર લગાવેલું એક મસમોટું હોડિગ પવનના કારણે ઉડીને નીચે પડું હતું. હજુ પણ અનેક હોડિગ્સ જોખમી રીતે લટકી રહ્યા છે, પરંતુ તત્રં હજુ પણ આ બાબતે આખં આડા કાન કરી રહ્યું છે. તાલુકાના ગુંદાળા, અનિડા, ભુણાવા, બિલિયાળા સહિતમાં ધોધમાર વરસાદ પડયો હતો.
આ વરસાદને પગલે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત તો ચોક્કસ મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. હાલમાં પણ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આ વરસાદથી કયાંક ખુશી છે, તો તંત્રની ઘોર બેદરકારીના કારણે જનતામાં ભારે ચિંતા અને રોષનો માહોલ છે
ભારે વરસાદના કારણે દસ કલાક સુધી વીજળી ગુલ: પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ
ગોંડલનાં ગુંદાળા ગામે ગત સાંજે વરસાદ આવ્યાં બાદ પાંચ વાગે વિજળી ગુલ થઇ હતી. રાત સુધી વિજ પુરવઠો ખોરવાયેલો રહેતા લોકો ગરમી અને બફારામાં ઉકળી ઉઠા હતાં. અનેક ફોન કરવા છતા લાઇટ આવી નાં હોય રાત્રીનાં બાર કલાકે અંકુરભાઇ બાલધા સહીત ગ્રામજનોનું ઉશ્કેરાયેલું ટોળુ ગોંડલ પીજીવીસીએલ કચેરીએ દોડી જઇ હલ્લાબોલ મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોએ કચેરીમાં રામધુન બોલાવી વિજતંત્રની બેદરકારી સામે વિરોધ દર્શાવ્યો હતો. ખરી મુશીબત બિમાર, વૃધ્ધ અને બાળકોને થવા પામી હતી. સાંજનાં પાંચ વાગ્યાથી લાઇટ ચાલી ગઇ હોય રાત સુધી અંધારપટ છવાયેલો રહેતા ગ્રામજનો એ ગોંડલ પીજીવીસીએલ કચેરીએ અનેક ફોન કર્યા હતાં.પરંતુ જાડી ચામડી ધરાવતા વિજતત્રં દ્રારા કોઈ ઉકેલ નહી આવતા લોકો વિજ કચેરીએ દોડી ગયા હતા. અંકુરભાઇ બાલધા સહીતે ત્વરિત વિજ પુરવઠો ચાલુ કરવા ઉગ્ર રજૂઆત કરી અન્યથા આત્મવિલોપન ની ચીમકી અપાતા ગ્રામજનોનો આક્રોશ જોઇ વિજતત્રં દોડતું થયુ હતું. અને રાત્રે દોઢ બે વાગ્યે વિજ પુરવઠો પુર્વવત થતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો. ગોંડલ શહેરમાં પણ ગત સાંજે વરસાદ શરૂ થતાજ વિજળી ગુલ થઇ હોય પીજીવીસીએલ નાં પ્રિમોન્સુન નાં દાવા પોકળ સાબીત થયા હતા