જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર બનેલી હૃદયદ્રાવક ઘટના બાદ વનવિભાગને મોટી સફળતા મળી છે. ગિરનારના જંગલ વિસ્તારમાંથી માનવભક્ષી સિંહોને પકડી લેવામાં આવ્યા છે, જેના પગલે તંત્ર દ્વારા ભાવિક ભક્તો અને પ્રવાસીઓ માટે ગિરનાર પર્વત પર જવા માટેના પગથિયાનો રસ્તો ફરીથી ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. સિંહો પાંજરે પુરાતા જંગલની આસપાસના વિસ્તારો અને યાત્રાધામ પર તૈનાત વનવિભાગ તેમજ વહીવટી તંત્રે મોટી રાહતનો શ્વાસ લીધો છે.
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, ગઈકાલ શનિવારે વહેલી પરોઢે ગિરનારના પગથિયા ચડીને યાત્રા કરી રહેલા એક માસૂમ બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ અને સિંહણ તે બાળકને યાત્રિકોની નજર સામે જ જંગલની ગીચ ઝાડીઓમાં ખેંચી ગયા હતા અને તેને ફાડી ખાધો હતો. આ કાળઝાળ અને ભયાનક ઘટનાને પગલે ગિરનાર પર્વત પર આવતા હજારો યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યાત્રિકો માટે ગિરનારની સીડી (પગથિયાનો રસ્તો) સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી.
બાળકના મોતની ગંભીર ઘટના બાદ વનવિભાગની ટીમો હરકતમાં આવી હતી અને સિંહોને પકડવા માટે જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરી પાંજરા ગોઠવ્યા હતા. વનવિભાગે સઘન મહેનત બાદ ગિરનાર પગથિયા નજીકના વન વિસ્તારમાંથી કુલ ૩ સિંહોને સફળતાપૂર્વક પકડીને પાંજરે પુર્યા છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા વન્યજીવોમાં ૨ નર સિંહ અને ૧ માદા સિંહણનો સમાવેશ થાય છે. આ માનવભક્ષી સિંહો પકડાઈ જતાં હવે યાત્રિકો માટેનો ભય ટળ્યો છે અને ગિરનારની યાત્રા પૂર્વવત રીતે શરૂ કરી દેવામાં આવી છે.