દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવોને કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે. આ ગંભીર મુદ્દા વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે (૨૫ મે) એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી (આબકારી જકાત) માં ઘટાડો કરે, તો દેશને આશરે 1 લાખ કરોડનું મોટું મહેસૂલી નુકસાન વેઠવું પડી શકે છે. નાણામંત્રીએ દેશમાં ભય કે નિરાશાનું વાતાવરણ ઊભું કરવાને બદલે જનતામાં વિશ્વાસ જગાડવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ભારત આ સમયે ભયનો માહોલ પોસાય તેમ નથી.
10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો: જનતા પર આર્થિક બોજ
નાણામંત્રીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં ઇંધણના ભાવમાં ફરી એકવાર તીવ્ર વધારો ઝીંકાયો છે. છેલ્લા ૧૦ દિવસમાં આ ચોથો ભાવ વધારો છે. સોમવારે જ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૨.૬૧ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૨.૭૧નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સતત વધી રહેલા ભાવોને કારણે મધ્યમ વર્ગના ઘરગથ્થુ બજેટ ખોરવાઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે.
નાગરિકોમાં આત્મવિશ્વાસ જગાડવાની જરૂર છે
સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની ૩૭મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા સીતારમણે વિપક્ષ કે નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો પર પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદીની અપીલનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, નકારાત્મક વાણી અને વર્તન દ્વારા દેશમાં એક કૃત્રિમ નિરાશાવાદી વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે જે ખોટું છે. આપણો દેશ અત્યારે આર્થિક રીતે મજબૂત સ્થિતિમાં છે, તેથી શબ્દો અને કાર્યો બંને દ્વારા નાગરિકોમાં વિશ્વાસ જગાડવો એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે નાણામંત્રીની ‘3F’ ફોર્મ્યુલા
મધ્ય પૂર્વની કટોકટી અને યુદ્ધ જેવી સ્થિતિને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે, જેના કારણે વૈશ્વિક બજારો પર મોટું દબાણ છે. આ પડકારોનો સામનો કરવા માટે નાણામંત્રીએ દેશને ‘૩ એફ’ (3F) પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો છે. આ ત્રણ 'F' એટલે:
ઇંધણ (Fuel)
ખાતર (Fertilizer)
ફોરેક્સ (Forex - વિદેશી હૂંડિયામણ)
તેમણે સમજાવ્યું કે વૈશ્વિક દબાણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવ અકલ્પનીય સપાટીએ પહોંચી ગયા છે, જ્યારે સોનાના ઊંચા ભાવો પણ બાહ્ય મોરચે કેટલાક આર્થિક પડકારો ઉભા કરી રહ્યા છે.
ભારતની સ્થાનિક આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત
નાણામંત્રીએ દેશના અર્થતંત્ર અંગે આશાવાદ વ્યક્ત કરતા ઉમેર્યું કે, કેટલાક લોકો પરિસ્થિતિને એવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જાણે બધું જ તૂટી પડ્યું હોય, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. અત્યારે આપણી સામે જે કંઈ પણ આર્થિક પડકારો છે, તે સ્થાનિક નહિ પરંતુ બાહ્ય વૈશ્વિક પરિબળો અને આંતરરાષ્ટ્રીય કટોકટીને કારણે છે. આ તમામ વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતની સ્થાનિક આર્થિક સ્થિતિ આજે પણ ખૂબ જ સકારાત્મક, સ્થિર અને મજબૂત રહેલી છે.