પાટીદાર ચોક પાસે રહેતા અને બે દિવસથી લાપતા થયેલા કારખાનેદાર યુવાનનો મવડી પાળ રોડ પર તેની જ કારમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઝેરી દવા પી કારખાનેદારે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેમછતા મોતનું સચોટ કારણ જાણવા મૃતકના વિસેરા લેવામાં આવશે.
શહેરના મવડી પાળ રોડ પર ગોલ ટ્વીન બિલ્ડિંગ સામે બે દિવસથી લાપત્તા કારખાનેદાર તુષારભાઈ કેશવલાલ જાલાવડીયા (ઉ.વ.૪૦, રહે. પાટીદાર ચોક, ઓપેરા હાઈટ્સ ફ્લેટ નં.૯૦૧)નો તેની જ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,પાટીદાર ચોક પાસે કોપર હાઇટ્સ ફ્લેટ નં.૯૦૧માં રહેતા અને ગોંડલ ચોકડી પાસે કારખાનુંધરાવતા તુષારભાઇ બે દિવસ પહેલાં પોતાની કાર લઈને કારખાને ગયા હતા. ત્યારબાદ તે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન તેના મોટાભાઈને મવડી પાળ રોડ પર ગોલ ટ્વીન બિલ્ડિંગ સામે નાનાભાઈની કાર જોવા મળી હતી. તેઓ કાર પાસે જતા દુર્ગંધ આવતી હોવાથી તેણે કાચ તોડતા નાનાભાઈને લોહીની ઉલ્ટી કરેલી હાલતમાં જોતા તુરંત જ ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
તાલુકા પોલીસને જાણ થતા હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ અજાગીયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તુષારભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મૃતક બે ભાઈ અને બે બહેનમાં નાના હતા.મૃતકની પત્ની હાલ રીસામણે છે તે ભાઇ સાથે કારખાનુ ચલાવતા હતાં. પ્રાથમિક તપાસમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ જે સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળ્યો તેને ધ્યાને લઇ મોતનુ સચોટ કારણ જાણવા માટે મૃતકના વિસેરા લેવામાં આવશે. બીજી તરફ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ હતી.