પરીક્ષાની મોસમ: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૪ એપ્રિલથી વાર્ષિક પરીક્ષાનો થશે પ્રારંભ

  • February 03, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોર્ડની પરીક્ષા સાથે રાજ્યમાં પરીક્ષાનો માહોલ આગામી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં એપ્રિલ મહિનામાં વાર્ષિક પરીક્ષા લેવાશે જેના માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
૪ એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા ૨૩ એપ્રિલે પૂર્ણ થશે. સમગ્ર રાજ્યમાં સમાન સમયપત્રકના આધારે આ પરીક્ષા લેવા આદેશ કરાયો છે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે તો રાજ્ય કક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરી અપાશે. જ્યારે ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરીને પરીક્ષા ગોઠવી શકશે. જોકે, ખાનગી સ્કૂલોએ પણ સમાન સમય પત્રકનું પાલન કરવાનું રહેશે. ધોરણ-૫ અને ૮માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે માસ અભ્યાસ કરાવ્યા બાદ તેમની પુન: પરીક્ષા લેવાની રહેશે. જો પુન: પરીક્ષામાં તેઓ પાસ થાય તો તેમને ઉપલા ધોરણમાં પ્રવેશ ફાળવવાનો રહેશે.
​​​​​​​
તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા ૪ એપ્રિલથી ૨૩ એપ્રિલ દરમિયાન યોજાશે. ધોરણ-૩થી ૮ની દ્વિતીય સત્રાંત કસોટીઓ માટે ધોરણ અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અપાશે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-શાસનાધિકારીને સોંપાશે. કસોટીપત્રો તૈયાર કરવા ધોરણ-૩થી ૮ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીય સત્રનો ડિસેમ્બર-૨૦૨૩થી માર્ચ-૨૦૨૪ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. ખાનગી પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલ માળખા મુજબ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે.
ધોરણ-૩ અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ-૫થી ૮ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે-તે શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે. પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા મારફતે અલગથી અપાશે. ધોરણ-૫ અને ૮માં ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓનું બે માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ કર્યા બાદ શાળા કક્ષાએ પુન: કસોટી યોજવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application