શુક્રવારે રાત્રે અંદાજે 9:46 કલાકે દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ પાડોશી દેશ અફઘાનિસ્તાનનો હિન્દુકુશ વિસ્તાર હતો.
જ્યારે આંચકા અનુભવાયા ત્યારે લોકો પોતપોતાના ઘરોમાં હતા. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આંચકાની તીવ્રતા વધુ હોવાથી ઘરોમાં લટકતા પંખા, ઝુમ્મર અને અન્ય વસ્તુઓ હલવા લાગી હતી.
સદનસીબે હજુ સુધી આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે મોટા માલ-મિલકતના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જમ્મુ-કાશ્મીર અને પંજાબના વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભૂકંપ બાદ થોડો સમય લોકો ભયના માર્યા રસ્તા પર જ ઉભા રહ્યા હતા, પરંતુ સ્થિતિ શાંત જણાતા તેઓ પરત ફર્યા હતા.