માતા વૈષ્ણો દેવીના પવિત્ર ધામમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તોની ભીડ તમામ રેકોર્ડ તોડી રહી છે. કટરા અને ભવનના માર્ગો પર ચારેબાજુ માત્ર શ્રદ્ધાળુઓ જ નજરે પડી રહ્યા છે. ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવી રાખવા માટે શ્રાઈન બોર્ડે શનિવારે સતત બીજા દિવસે મુસાફરોનું રજિસ્ટ્રેશન સમય પહેલા બંધ કરી દેવાની ફરજ પડી હતી.
સાંજે 4:45 વાગ્યે રજિસ્ટ્રેશન કાઉન્ટર બંધ
શનિવારે સ્થિતિ એવી સર્જાઈ હતી કે સાંજ પડે તે પહેલા જ એટલે કે 4:45 વાગ્યા સુધીમાં 41,000 જેટલા શ્રદ્ધાળુઓ પવિત્ર ભવન તરફની ચઢાણ માટે રવાના થઈ ચૂક્યા હતા. ભવન પર ભક્તોની ક્ષમતા અને રસ્તામાં સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને, શ્રાઈન બોર્ડે તમામ યાત્રા નોંધણી કેન્દ્રોને અસ્થાયી રૂપે બંધ કરી દીધા હતા. આ નિર્ણયથી કટરામાં રોકાયેલા હજારો ભક્તોએ હવે રવિવાર સવાર સુધી રાહ જોવી પડશે.
નવરાત્રીમાં ભક્તિનો માહોલ
ચૈત્ર નવરાત્રીના દિવસોમાં માતાના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોવાથી દેશભરમાંથી શ્રદ્ધાળુઓ જમ્મુ પહોંચી રહ્યા છે. ભવન અને માર્ગોને સુંદર ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. શ્રાઈન બોર્ડ દ્વારા ભીડને મેનેજ કરવા માટે વધારાના સ્ટાફ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
યાત્રીઓ માટે મહત્વની સૂચના
શ્રાઈન બોર્ડના અધિકારીઓએ યાત્રિકોને અપીલ કરી છે કે તેઓ કટરા પહોંચતા પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન અને યાત્રાની સ્થિતિ તપાસી લે. ભીડ વધુ હોવાને કારણે દર્શન માટે લાંબી લાઈનો લાગી રહી છે, તેથી શ્રદ્ધાળુઓએ ધીરજ રાખવા અને બોર્ડના નિયમોનું પાલન કરવા જણાવાયું છે.
આગામી દિવસોમાં એટલે કે અષ્ટમી અને નોમના દિવસે ભક્તોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે, જેને જોતા વહીવટીતંત્ર દ્વારા વધુ કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.