દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહોરમ (તાજીયા) તહેવારની ઉજવણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં દર વર્ષે મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ (તાજીયા)ના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં આ વર્ષે ૨૫/૦૬/૨૦૨૬થી તા.૨૬/૦૬/૨૦૨૬ના રોજ મહોરમ (તાજીયા) ની ઉજવણી કરવામાં આવનાર છે. મહોરમની ઉજવણી દરમ્યાન ટ્રાફિક નિયમોનું પાલન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા કૃત્યો પર અંકુશ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા મળેલ સત્તા રૂએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૫/૦૬/૨૦૨૬થી તા.૨૭/૦૬/૨૦૨૬ દરમ્યાન, તાજીયાની બેઠક સહિત ૯ (નવ) ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતા તાજીયા બનાવવા, વેંચવા કે જાહેર માર્ગો પર પરિવહન કરવા નહીં. તાજીયામાં લોખંડના સળિયા કે અન્ય વીજવાહક સાધનો, વસ્તુઓ કે પદાર્થોનો ઉપયોગ કરવો નહીં. સક્ષમ સત્તાધિકારીઓની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય તાજીયાના ઝુલુસ કાઢવા નહીં. મંજૂરીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ પર નિકળવું નહીં તેમજ મંજૂરીમાં દર્શાવેલ સમયમર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના રહેશે. તાજીયાના રૂટ પરથી પસાર થતાં સમય તે વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને કોઈપણ પ્રકારે અડચણ કે ત્રાસ કે નુકસાન કે લોકોને જાનમાલ કે સ્વાસ્થ્ય સલામતી નુકસાન થાય એવું કૃત્ય કરવું નહીં. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ પણ પ્રકારના ચિન્હો કે નિશાની વાળા તાજીયાઓ બનાવવા, ખરીદવા કે વેચાણ કરવા નહીં. તાજીયા કમિટી દ્વારા ચાર રસ્તા ઉપર કે પબ્લિક સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં કે તેની આજુબાજુની જગ્યામાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં તથા આ જગ્યા ઉપર કચરાપેટી રાખવાની તથા સફાઈ કરાવવાની જવાબદારી તાજીયા કમિટીના આયોજકોની રહેશે. રાત્રિના ૧૦થી ૦૬ કલાક સુધીના સમયગાળામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. તાજીયામાં લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવે તો તેનું વાયરીંગ ખુલ્લું રાખવું નહીં તેમજ વીજ લાઈનને કોઈપણ પ્રકારના દંડ કે લાકડી (વિદ્યુતવાહક કે અવાહક) જેવા પદાર્થથી ઊંચો કરવા કે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી નહીં. તાજીયાના રૂટ પર આવતા વીજપોલ કેવી વીજ વાયરને નુકસાન થાય તેવું કૃત્ય કરવું નહીં. કોઈપણ તાજીયાને બિન વારસી હાલતમાં મૂકવા નહીં.
આ જાહેરનામાના હુકમનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.