વસંત વાટીકા-ઉપલાકાંઠે ૭ બાંધકામનું ડિમોલિશન

  • May 23, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં આગામી તા.૧૫ જૂનથી નૈઋત્યનું ચોમાસુ બેસે તે પહેલા શક્ય તેટલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરી નાખવા માટે મહાપાલિકા તંત્ર સજ્જ બન્યું છે, ચોમાસાના ચાર મહિના દરમિયાન ડિમોલિશન કરી શકાતું ન હોય હાલથી જ ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કરાયું છે ગઇકાલે સોની બજાર એરપોર્ટ રોડ અને જંકશન પ્લોટ વિસ્તારમાં ત્રણ ગેરકાયદે બાંધકામો સીલ કરવામાં આવ્યા બાદ આજે શહેરના વિવિધ વિસ્તારમાં સાત ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરાયું હતું જેમાં એક રહેણાંક મકાન અને છ દુકાનો સમાવિષ્ટ છે.

વિશેષમાં મહાપાલિકાની વેસ્ટ ઝોન ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વોર્ડ નં.૧૧ના મવડી વિસ્તારના અંબિકા ટાઉનશીપ રોડ ઉપર આવેલા વસંત વાટીકા એપાર્ટમેન્ટમાં ૧૫૦ ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને ત્યાં આગળ ડેરી ફાર્મની દુકાનનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન આ અંગે વસંત વાટિકા એપાર્ટમેન્ટના પ્રમુખને અગાઉ કલમ-૨૬૦(૧) મુજબની નોટિસની બજવણી કરવામાં આવી હતી છતાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં ન આવતા કલમ ૨૬૦(૨) હેઠળની નોટિસની બજવણી કરાઈ હતી ત્યારબાદ પણ બાંધકામ દૂર નહીં કરતા આજે સવારે ત્યાં આગળ ડિમોલિશન હાથ ધરી આ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવાયું હતું.

જ્યારે ઇસ્ટ ઝોન ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ વોર્ડ નં.૫માં આરટીઓ કચેરી પાછળ ભવાની રોડવેઝ વાળી શેરીમાં આવેલી માલધારી સોસાયટીમાં એક શખ્સ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરીને એક રહેણાંક મકાન તેમજ પાંચ દુકાનો બનાવાઇ રહી હતી જેના ઉપર પણ બુલડોઝર ફેરવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application