જવાહર મેદાન ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ

  • March 02, 2024 08:03 PM 

મિલેટ એક્સપોમાં મિલેટ્સની વિવિધ લાઈવ વાનગીઓના ૫૦ જેટલા ફુડકોર્ટ : લોકો આરોગ્યપ્રદ મિલેટ્સમાંથી બનેલ અવનવી વસ્તુઓનો સ્વાદ માણી શકશે. લોકો હાથ બનાવટની જુદી જુદી કલાત્મક ચીજ વસ્તુઓ, ઈમીટેશન, આયુર્વેદિક સહિતની પ્રોડક્ટસ નિહાળવાની સાથે ખરીદી કરવાની પણ તક મળશે. ભાવનગરનાં આંગણે ત્રિ-દિવસીય મિલેટ એક્સપોનો સાંસદ ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ એક્સપોમાં ૫૦ જેટલા સ્ટોલ્સ ઉભા કરવામા આવ્યા છે. જેમાં મિલેટની વિવિધ વાનગીઓના પ્રદર્શનની સાથે વેચાણ કરવામાં આવશે. ઉપરાંત મિલેટ્સમાંથી બનેલ વાનગી-વસ્તુઓનો સ્વાદ પણ માણી શકશો. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. 


સ્વાદની લ્હાયમાં આપણા મૂળ અન્ન છે તે વિસરાયા છે, પરિણામે લોકોનું આરોગ્ય પણ જોખમાયું છે ત્યારે આરોગ્યપ્રદ એવા મિલેટ એટલે હલકુ ધાન્ય(શ્રી અન્ન) જેમા બાજરો, જુવાર, રાગી, બાવટો, કોદરો વગેરે બરછટ ધાન્યનો સમાવેશ થાય છે. હાલ જંક-ફાસ્ટફુડ ખોરાકમાં સામેલ થવાથી ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ તેમજ કેન્સર જેવી અસાધ્ય ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ ઉત્તમ ધાન્ય છે. આ મિલેટ્સ(શ્રી અન્ન)નો આહારમાં વધુ ઉપયોગ થાય અને માનવ તંદુરસ્ત રહે તેવા આશયથી લોક જાગૃતી માટે ગુજરાત સરકારશ્રીના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે મિલેટ એક્સપો-૨૦૨૪નું ભાવનગરનાં જવાહર મેદાન ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે ૮ થી ૯ કલાક ભવ્ય સાંસ્કૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોની લોકો તા. ૩ માર્ચ સુધી આયોજન કરાયું છે.



આ એક્સપોમાં મિલેટ્સની વિવિધ લાઈવ વાનગીઓના ફુડકોર્ટ અને પ્રદર્શન સ્ટોલ તેમજ વિષય નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમાં મહત્વ અંગેના માર્ગદર્શન આપતા સ્ટોલ પણ હશે. ઉપરાંત મિલેટ્સની ન્યુટ્રીશન વેલ્યુ એટલે આરોગ્યની દ્રષ્ટિએ થતા ફાયદાઓ લોકો જાણી શકશે. ઉપરાંત મિનિટ પાકોની જાતોનું નિદર્શન અને તેની ખેતી પદ્ધતિ કૃષિ સાહિત્ય વેચાણ અને મૂલ્ય વર્ધન વિશેની જાણકારી પણ મળી રહેશે.


આ મિલેટ એકસપોમાં પ્રાકૃતિક ખેતી પેદાશોનું પણ નિદર્શન કરવામાં આવશે. આ સાથે ગ્રામ્ય કારીગરોએ માટીકામથી તૈયાર કરેલી વસ્તુઓ નિહાળી શકવાની સાથે ખરીદી પણ કરી શકાશે.


 આ ઉપરાંત હાથ બનાવટની જુદી જુદી કલાત્મક ચીજ વસ્તુઓ, ઈમીટેશનની અવનવી વસ્તુઓ, આયુર્વેદિક પ્રોડક્ટસ વગેરેનું એક્સપોમાં નિદર્શન સાથે વેચાણ કરવામાં આવશે. આ એક્સપોમાં લોકોને ખેતીવાડી સહિતની વિવિધ યોજનાઓની પણ જાણકારી મળી રહેશે.


ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર ઉજવી રહ્યું છે. જેથી મીલેટ્સ દ્વારા આરોગ્યને થતા ફાયદાઓ લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય.


આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, જીલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, જિલ્લા કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી જયશ્રીબેન જરૂ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ તથા વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા તથા અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application