રાજકોટ મહાનગરપાલિકામાંથી વહીવટી તંત્રને વેગ આપવા માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મનપાની વિવિધ શાખાઓ અને સમિતિઓના ચેરમેન પદ માટેના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં શહેરના વિકાસ કાર્યો અને પાયાની સુવિધાઓ સંભાળતી ૧૫ જેટલી મહત્વની સમિતિઓના વડાઓની નિમણૂક કરવામાં આવી છે.
જાહેર કરાયેલી યાદી મુજબ, મહાનગરપાલિકાની સૌથી મહત્વપૂર્ણ ગણાતી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અશ્વિનભાઈ પરશોત્તમભાઈ ભોરણીયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરની સ્વચ્છતા અને આરોગ્યની જવાબદારી સંભાળતી સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે કીર્તિબા અનિરૂદ્ધસિંહ રાણા અને આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે રીંકલભાઈ ખોડીદાસભાઈ મેઘાણીના નામ પર મહોર મારવામાં આવી છે. સામાજિક કાર્યો માટેની સમાજ કલ્યાણ સમિતિના વડા તરીકે મનીષભાઈ રસિકભાઈ ભટ્ટની નિયુક્તિ થઈ છે.
શહેરની આંતરમાળખાકીય સુવિધાઓની વાત કરીએ તો, લાઈટીંગ સમિતિની કમાન પરેશભાઈ વસંતલાલ ઠાકરને અને વોટર વર્ક્સ સમિતિની જવાબદારી જયસુખભાઈ મગનભાઈ કાથરોટીયાને સોંપવામાં આવી છે. કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન તરીકે જયરાજસિંહ ગજુભા જાડેજા, માર્કેટ સમિતિ માટે મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજા અને પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે અનિલકુમાર શરદકુમાર ચૌહાણ વહીવટ સંભાળશે. હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના વડા તરીકે દીલીપભાઈ હિરજીભાઈ લુણાગરીયાની વરણી કરવામાં આવી છે. પ્લાનિંગ સમિતિની જવાબદારી અનિલકુમાર શરદકુમાર ચૌહાણને સોંપાઈ છે.
આ ઉપરાંત અન્ય મહત્વની સમિતિઓમાં ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે કિરણબેન વસંતભાઈ હરસોડા, બાગ બગીચા અને ઝૂ સમિતિ માટે રક્ષિત વસંતરાય કલોલા અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન તરીકે કંકુબેન કનજીભાઈ ઉધરેજાના નામની જાહેરાત થઈ છે. શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના વડા કેતનભાઈ ડાયાભાઈ બન્યા છે, જ્યારે માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સોનલબેન જીતેન્દ્રભાઈ સેલારાની પસંદગી કરવામાં આવી છે. આ નવી ટીમના ગઠનથી રાજકોટ શહેરમાં વિકાસકાર્યો વધુ ઝડપી બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.