અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલા સૈન્ય સંઘર્ષ અને ત્યારપછી સર્જાયેલી સ્થિતિને લઈને ખુદ અમેરિકાની જનતામાં ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump Administration) વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વ્હાઇટ હાઉસ ભલે આ યુદ્ધમાં પોતાની જીતનો દાવો કરી રહ્યું હોય, પરંતુ અમેરિકાની ટોચની મીડિયા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા ચાર અલગ-અલગ સર્વેક્ષણોમાં ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. મોટાભાગના અમેરિકન નાગરિકોનું સ્પષ્ટપણે માનવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.
નોંધનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકાએ ઈઝરાયેલ સાથે મળીને ઈરાન પર એક મોટો સૈન્ય હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા. આટલા મોટા હુમલા છતાં ઈરાનમાં સત્તાપલટો કરવામાં અમેરિકા નિષ્ફળ રહ્યું છે અને હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને સમજૂતી માટે વાટાઘાટો ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ ન્યૂયોર્ક ટાઈમ્સ, એબીસી, સીએનએન અને પ્યુ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા સર્વેના તારણો નીચે મુજબ છે:
૧. ન્યૂયોર્ક ટાઈમ્સ-સિએના સર્વે: લશ્કરી તાકાતથી પરમાણુ કાર્યક્રમ અટકાવવો અશક્ય
આ સર્વેમાં સામેલ ૫૦ ટકા લોકોનું માનવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ લશ્કરી બળ કે આર્થિક દબાણ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને ક્યારેય ખતમ કરી શકશે નહીં. માત્ર ૨૨ ટકા લોકોને જ લશ્કરી શક્તિ પર ભરોસો હતો. આ સિવાય ૫૨ ટકા નાગરિકોએ કહ્યું કે, હવે કોઈ પણ પ્રકારની શરતો કે સમજૂતી વગર આ યુદ્ધને તાત્કાલિક રોકી દેવાની જરૂર છે.
૨. વોશિંગ્ટન પોસ્ટ-એબીસી અને પ્યુ રિસર્ચ: ઈરાન પર દબાણ લાવવામાં નિષ્ફળતા
આ સંયુક્ત સર્વેમાં ૬૯ ટકા લોકોનું માનવું હતું કે કોઈ પણ નવી સમજૂતી છતાં ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ અટકાવશે નહીં અને તે પડદા પાછળથી પોતાનું કામ ચાલુ જ રાખશે. ટ્રમ્પ સરકાર ઈરાનને દબાવી શકશે નહીં. જ્યારે પ્યુ સર્વેક્ષણમાં સામેલ બે તૃતીયાંશ (આશરે ૬૬ ટકા) લોકોએ સ્વીકાર્યું કે અમેરિકા ઈરાનમાં પોતાનો નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નથી.
૩. એબીસી ન્યૂઝ સર્વે: અમેરિકા પર આતંકી હુમલાનો તોળાતો ખતરો
આ સર્વેક્ષણના આંકડા સૌથી વધુ ચિંતાજનક છે. આમાં ૬૧ ટકા અમેરિકનોએ આશંકા વ્યક્ત કરી છે કે ઈરાન સાથેના આ યુદ્ધના કારણે આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે અમેરિકન નાગરિકો વિરૂદ્ધ આતંકવાદનો ખતરો વધી ગયો છે. ૪૯ ટકા લોકોના મતે આનાથી મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ની સ્થિતિ વધુ બગડશે, જ્યારે ૫૬ ટકા લોકો માને છે કે આ યુદ્ધથી અમેરિકાના અન્ય દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધો નબળા પડશે.
૪. સીએનએન (CNN) સર્વે: રાષ્ટ્રપતિના નિર્ણયો પર જનતાને ભરોસો નથી
સીએનએનના તાજેતરના સર્વેક્ષણ અનુસાર, ૫૯ ટકા અમેરિકનો માને છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન મામલે યોગ્ય નિર્ણયો લેવામાં સક્ષમ નથી અને તેઓ તેમની વિદેશ નીતિ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. માત્ર ૨૨ ટકા લોકોએ જ ટ્રમ્પના નિર્ણયોને યોગ્ય ગણાવ્યા છે.
અમેરિકન મીડિયા પર ભડક્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ
પોતાની જ ધરતી પર સરકારની થઈ રહેલી આકરી ટીકા અને આ સર્વેના આંકડાઓ સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર અમેરિકન મીડિયા અને વિરોધી ડેમોક્રેટ્સ પાર્ટી પર પ્રહારો કરતા લખ્યું કે, "જો આવતીકાલે ઈરાન સંપૂર્ણ આત્મસમર્પણ (Surrender) કરી દે અને સ્વીકારી લે કે તેની નૌકાસેના નાશ પામી છે, અને તેહરાનની શેરીઓમાં તેમની સેના હાથ ઊંચા કરીને શરણાગતિની બૂમો પાડે, તો પણ આપણું નકામું અમેરિકન મીડિયા તેને અમેરિકાની જીત તરીકે નહીં દર્શાવે." ટ્રમ્પે અમેરિકન મીડિયા અને વિપક્ષી નેતાઓને સંપૂર્ણપણે ભ્રમિત અને પાગલ ગણાવ્યા છે.